Bharudi Pithadiya Toll Plaza: રાજકોટ જેતપુર પર આવેલા ભરુડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવેલા આંદોલનોની મહેનત રંગ લાવી છે અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને રાતોરાત મોટી રાહત મળી છે. રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ટોલટેક્સમાં 25 ટકા જેટલો ઘટાડો લાગુ કરવામાં આવતાં સૌરાષ્ટ્રના વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સરકાર દ્વારા નોટિફિકેશ બહાર પાડી તાત્કાલિક અસરથી આજથી (21 માર્ચ 2025) રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ભરુડી અને પીઠડીયા ટોલપ્લાઝા પર ટોલની ફીમાં 25 ટકા જેટલો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. એટલે કે અગાઉ ફોર વ્હીલર માટે એક તરફી મુસાફરીના ભરૂડી અને પીઠડીયા ટોલ પ્લાઝા પર 45 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેને ઘટાડીને હવે 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
આજ સવારથી જ રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ભરુડી અને પીઠડીયા ટોલપ્લાઝા પર ટોલ ફીમાં ઘટાડો કરવામા આવ્યો છે. પીઠડીયા ટોલનાકા પર આજથી હવે રૂપિયા 35 કરી દેવામાં આવ્યા છે. આજથી જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. ફોરવ્હીલર માટે એક તરફી મુસાફરીના ભરુડી ટોલ પ્લાઝા રુપિયા 45 અને પીઠડીયા ટોલ પ્લાઝાના 45 વસૂલવામાં આવતા હતા. જેના હવે 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
પીઠડીયા ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાન અથવા અન્ય લાઈટ મોટર વ્હીકલ માટે એક દિવસની રિટર્ન મુસાફરી માટે અગાઉ 95 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવતો હતો, જે હવે ઘટાડીને માત્ર 70 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વારંવાર વાહન ચાલકોના વિરોધને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે ઑથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ટોલ પ્લાઝા પરથી દરરોજ હજારો વાહનોની અવર-જવર થાય છે. ટોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવતાં દરરોજ અપડાઉન કરતાં વાહન ચાલકોને હજારો રૂપિયાની બચત થશે.