મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ “બાળરક્ષક પ્રતિષ્ઠાન” દ્વારા ઇન્દોર સ્થિત અહિલ્યા પરિસર મેરેજ ગાર્ડનમાં તા. 19 થી 20 મે, 2026 દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના 18 રાજ્યોમાંથી 150 થી વધુ પ્રતિભાશાળી શિક્ષકો, આચાર્યો, શિક્ષણવિદો અને સાહિત્યકારોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને રાષ્ટ્રીય ગૌરવની ઊંચાઈએ પહોંચાડ્યો હતો।
જ્ઞાન, સંસ્કાર, શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાથી ઓતપ્રોત આ કાર્યક્રમ વિવિધ સત્રોમાં યોજાયો હતો। ઉદ્ઘાટન સત્રમાં પ્રખ્યાત શિક્ષણવિદ અને સાહિત્યકાર પ્રો. ડૉ. યોગેન્દ્ર નાથ શુક્લા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પોતાના વિચારપ્રેરક સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે —
“શિક્ષણ માત્ર ડિગ્રી માટે નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણ માટે હોવું જોઈએ. શિક્ષક સમાજની કરોડરજ્જુ છે.”
તેમણે યુવાનોમાં વધતી નિરાશા, રોજગારલક્ષી શિક્ષણની જરૂરિયાત અને શિક્ષણવ્યવસ્થાના મૂલ્યઆધારિત પરિવર્તન અંગે અસરકારક વિચારો વ્યક્ત કર્યા હતા।
બીજા સત્રમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર એસીપી સુપ્રિયા ચૌધરીએ પોતાના જીવંત અને પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા શિક્ષકોને ટ્રાફિક જાગૃતિ અંગે અનોખી રીતે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે —
“બાળકો માટે સાચા હીરો શિક્ષકો જ છે.”
સન્માન સત્રમાં મધ્યપ્રદેશ બિન-સરકારી શિક્ષણ પરિષદના પ્રમુખ શ્રી સત્યનારાયણ સલવાડિયા, બ્રિલિયન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, ખાટીવાલા ટાંક, ઇન્દોરના ડિરેક્ટર ડૉ. સંજય કુમાર માલવી તથા શ્રી કિશોર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા શિક્ષકોને ગ્લોબલ પ્રિન્સિપાલ એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, જીવન ગૌરવ એવોર્ડ, સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ, જ્યોતિબા ફૂલે એવોર્ડ તથા સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડથી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા।
આ ગૌરવસભર અવસરે ગુજરાત રાજ્યના મહિસાગર જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષક, સાહિત્યપ્રેમી અને સર્જનશીલ વ્યક્તિત્વ ધરાવતા શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલને “ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ વિજ્ઞાન સર્વશ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” એનાયત કરી સન્માનપત્ર, શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરી વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા હતા।
રાષ્ટ્રીય મંચ પર મળેલ આ સન્માન માત્ર અરવિંદભાઈ પટેલ માટે નહીં, પરંતુ સમગ્ર મહિસાગર જિલ્લાના શિક્ષણજગત અને ગુજરાત માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની રહી હતી। શિક્ષણ પ્રત્યેની તેમની સમર્પિતતા, વિજ્ઞાનને સરળ અને જીવનમૂલ્યો સાથે જોડવાનો પ્રયત્ન તથા સાહિત્યસર્જનની આગવી યાત્રાએ તેમને વિશિષ્ટ ઓળખ અપાવી છે।
પોતાના સંબોધનમાં ડૉ. સંજય કુમાર માલવીએ જણાવ્યું હતું કે બાળરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા શિક્ષણથી વંચિત, વ્યસનગ્રસ્ત અને સામાજિક રીતે પછાત બાળકો માટે કરવામાં આવતું કાર્ય સમાજને નવી દિશા આપનારું અને અત્યંત પ્રશંસનીય છે।
આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ, પ્રભાવશાળી અને જીવંત સંચાલન ડૉ. અજય નાયી સાહેબે પોતાની આગવી અને અભ્યાસપૂર્ણ શૈલીથી કર્યું હતું, જેને ઉપસ્થિત સૌએ દિલથી વખાણ્યું હતું।
કાર્યક્રમના અંતે બાળરક્ષક પ્રતિષ્ઠાનના પ્રમુખ શ્રી મનોજ ચિંચોર, સેક્રેટરી શ્રી નરેશ વાઘ, કોઓર્ડિનેટર ધર્મેશ જોશી, સ્મિતા રાણા સહિતના આગેવાનો દ્વારા તમામ મહેમાનો, શિક્ષકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।
“શિક્ષક માત્ર પાઠ નથી ભણાવતા,
પરંતુ સમાજને સંસ્કાર અને રાષ્ટ્રને ભવિષ્ય આપે છે.”










