વ્યાજબી માંગ સાથે સહી ઝુંબેશ – આવેદનપત્ર આપવામાં આવશે
જાગૃત નાગરિકોની અપીલ – સાથી હાથ બઢાના
મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત ધારી ચલાલા અને વિસાવદર ના જાગૃત નાગરિકો સરકાર પાસે અને રેલ્વે વિભાગ પાસે લોક માંગણી મુજબ સહી ઝુંબેશ અને આવેદનપત્ર અર્પણ કરીને મિશન બ્રોડગેજ સુવિધા ને વેગવંતુ કરશે. આઝાદી ના દશકાઓ વિતી ગયા પરંતુ મીટર ગેજ ટ્રેન સુવિધા ને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી નહીં. ધારી-ચલાલા-વિસાવદર ની સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલ છે અને વિકાસ ના બણગાં ઓ ફુકવામા આવે છે. નવા રૂટ શરૂ કરવાને બદલે દશકાઓથી શરૂ હતી એવી મીટર ગેજ ટ્રેન સુવિધા પણ નામશેષ થઈ ગયેલ છે. અમરેલી થી ચાલતી તમામ મીટર ગેજ ટ્રેન સુવિધા બ્રોડગેજમાં રૂપાંતર કરવાના બ્હાને ૧૪ મહીના સુધી બંધ રાખવામાં આવેલ.
લોકોને બ્રોડગેજ ના સપનાઓ આપીને સત્તાધીશો અને રેલ્વે વિભાગે હળહળતો અન્યાય કરેલ છે. હાલ અમરેલી થી ચલાલા ધારી અને વિસાવદર ની તમામ ટ્રેનો છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવેલ છે. લોકોએ સોશિયલ મીડિયા અને મિડિયા ના માધ્યમથી મુહીમ ચલાવી હતી અને આખરે જુના સમયપત્રક અને જુના ભાડાં મુજબ નહીં પરંતુ આપખુદશાહી ની જેમ ચલાલા થી જુનાગઢ વચ્ચે એકમાત્ર ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી. જે મીટર ગેજ ટ્રેન સુવિધા આપી પરંતુ ભાડું ડબલ એક્સપ્રેસ ટ્રેન નું વસુલવામાં આવી રહેલ છે.
ચુંટણી પેહલા લોકોના ખોબલે ને ધોબલે મત મેળવી વિધાનસભા અને લોકસભા માં નાગરીકો ના પ્રતિનિધિ તરીકે ની જવાબદારી નિભાવવાને બદલે લોકોની અવગણના કરવામાં આવી રહેલ છે.જયારે ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ત્યારે ધારી, ચલાલા, વિસાવદર ની જનતાની સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલ છે એ બાબતે રાજકીય આગેવાનો ના હળહળતા અન્યાય વિરુદ્ધ લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહેલ છે.
સાંસદ ભરતભાઈ સુતરીયા હોય કે પછી ધારાસભ્ય જેવી કાકડીયા હોય કે પછી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી હોય તેમની પાસે ધારી ચલાલા વિસાવદર ની મુસાફર જનતા અને જાગૃત નાગરિકો આશા અને અપેક્ષા રાખી આગામી તારીખ ૦૧/૦૬/૨૦૨૬ સોમવારે સવારે ૯:૦૦ કલાકે તાલુકા પંચાયત ચોક ખાતે સહી ઝુંબેશ આદરીને આવેદનપત્ર પાઠવશે.
મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત ધારી શિવાય પણ વિસાવદર , ચલાલા ની સાથોસાથ ગામડાઓમાંથી પણ સહી ઝુંબેશ આદરવામાં આવશે. એક બિનરાજકીય અભિયાન કે જે જાગૃત નાગરિકો દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેની મુખ્ય માંગણીઓ છે કે વિસાવદર થી અમરેલી સુધી બ્રોડગેજ ટ્રેન સુવિધા મંજુર કરવામાં આવે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે.
સાથોસાથ દરેક રાજકીય પાર્ટીઓના આગેવાનો, વેપારી મહામંડળ અને સામાજિક સંસ્થાઓની સાથોસાથ જાગૃત નાગરિકો આ મિશન બ્રોડગેજ સુવિધા માં જોડાઈ ને સાથ અને સહકાર જરૂર થી આપે.










