![]()
સૌરાષ્ટ્રના હવામાનમાં ‘પ્રિ-મોન્સુન’ જેવો પલટો : અરબી સમુદ્રનાં પાણીમાં જબરદસ્ત કરન્ટ, : દ્વારકાના ગોમતી ઘાટ અને ભડકેશ્વર ચોપાટીએ 10થી 15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણાં દિવસોથી પડી રહેલી આકરા તાપ અને અસહ્ય ઉકળાટ વચ્ચે આજે પ્રી-મોન્સુન એક્ટિવીટી ચાલુ થઈ હોય એમ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાઈ જતાં વરસાદી માહોલ સર્જાયો હતો. વળી, આગામી 2-3 દિવસ સુધી વરસાદી વાતાવરણ અને પવનની તીવ્ર ગતિને લીધે અરબી સમુદ્રના પાણીમાં પણ કરન્ટ જોવા મળશે. આ સાથે આજથી તેજ પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
રાજકોટ, જામનગર, મોરબી, જુનાગઢ, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ સૂર્યનારાયણ વાદળોની પાછળ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા, અને દિવસ દરમિયાન પવન પણ ફૂંકાતો રહ્યો હતો, જેના કારણે ગરમીના પ્રમાણમાં થોડી રાહત અનુભવાઈ હતી. જો કે બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેતાં ઉકળાટમાં ખાસ ઘટાડો નોંધાયો નહોતો. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્ર વિસ્તારમાં સર્જાયેલી ટ્રફ સિસ્ટમ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધવાની ગતિને કારણે સૌરાષ્ટ્રના હવામાનમાં ધીમે ધીમે પરિવર્તન જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે રાજકોટ, મોરબી, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના કેટલાક વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ આજે યાત્રાધામ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અરબી સમુદ્રના પાણીમાં જબરદસ્ત કરન્ટ જોવા મળ્યો હતો. ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં દ્વારકાના ગોમતી ઘાટ તેમજ સંગમ નારાયણ મંદિર, લાઈટ હાઉસ અને ભડકેશ્વર બીચ સહિતના કાંઠાળા વિસ્તારમાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. બપોરના સમયે અસહ્ય ગરમી અને બફારાના માહોલમાં પણ અહીં પહોંચેલા યાત્રીકો દરિયાના ઉછળતા મોજામાં ન્હાવાનો તેમજ પરિવારો સાથે સેલ્ફી લેવાનો લુત્ફ ઉઠાવતા જોવા મળ્યા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે










