![]()
– અનેક કામચલાઉ કર્મીઓને મદદરૂપ સુપ્રીમનો ચુકાદો
– કામ સરખુ લેતા હોય તો બન્ને વચ્ચે ભેદભાવ કરવો તે બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધમાં : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટતા કરી હતી કે સરકાર પોતાના કર્મચારીઓની સાથે ભેદભાવ ના કરી શકે. સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે જો કોઇ કામચલાઉ કર્મચારી પણ કાયમી કર્મચારી જેટલુ જ અને એવુ જ કામ કરી રહ્યો હોય તો તેને પણ કાયમી કર્મચારી જેટલા જ લાભ આપવા પડે. અગાઉ પટણા હાઇકોર્ટે કામચલાઉ કર્મચારીને કાયમી કર્મચારી જેવા લાભ આપવાની ના પાડતો જે ચુકાદો અપાયો હતો તેને સુપ્રીમે રદ કરી નાખ્યો હતો.
પોસ્ટ વિભાગના કર્મચારીઓએ દસકાઓ સુધી સેવા આપ્યા બાદ પણ તેમને કાયમી કર્મચારી જેટલા લાભ નહોતા મળ્યા, તેથી તેમણે કાયમી કર્મચારી જેટલું પેન્શન આપવાની માગણી કરતી અરજી પટણા હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે આ માગણી ફગાવી દીધી હતી અને અરજી રદ કરી નાખી હતી. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, સુપ્રીમે પટણા હાઇકોર્ટના ચુકાદાને રદ કરીને કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે પોતાનું કામકાજ, જવાબદારીઓ અને કર્તવ્યના મામલામાં કામચલાઉ અને કાયમી કર્મચારી બન્ને સમાન હોય તો તેવી સ્થિતિમાં કોઇ એક વર્ગને સમાન લાભ આપવાની ના પાડવી બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધમાં છે. લાંબા સમય સુધી સેવા આપનારા કર્મચારીઓને સામાજિક સુરક્ષા અને પેંશન જેવા લાભોથી વંચિત ના રાખી શકાય. સરકાર કર્મચારીઓને અનિશ્ચિત સ્થિતિમાં રાખીને તેમની પાસેથી કાયમી કર્મચારીઓ જેવું કામ ના લઇ શકે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ કામચલાઉ કર્મચારીઓને પણ કાયમી કર્મચારીઓ જેવા જ તમામ લાભ આપવા માટે આદેશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એવા કામચલાઉ કર્મચારીઓ માટે મદદરૂપ સાબિત થઇ શકે છે જેમની પાસે વર્ષો સુધી કોન્ટ્રાક્ટરો બદલીને એક સરખુ કામ લેવામાં આવતું હોય છે.










