![]()
બાબરકોટની રિઝર્વ ફોરેસ્ટ જમીનનો મુદ્દો ફરી ઉછળ્યો : એક તરફ પર્યાવરણ દિવસે લાખો વૃક્ષો વાવવાના દાવાઓ, બીજી તરફ કંપનીનાં માઈનિંગ માટે 5500 વૃક્ષોનું નિકંદન કાઢવાની હિલચાલ
જૂનાગઢ, : ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું હરતું-ફરતું ઘર ગણાતા બાબરાકોટ લાયન કોરિડોર વિસ્તાર પર હાલ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આ વિસ્તારમાં આશરે 50થી વધુ સિંહો વસવાટ કરે છે પરંતુ તાજેતરમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ હેઠળ આ જંગલની કિંમતી જમીન માઇનિંગ પ્રવૃત્તિઓ માટે ફાળવવાની હિલચાલ સામે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ આ જમીનમાં રહેલા વૃક્ષોનું પણ નિકંદન કાઢવાની તજવીજ ચાલી રહી છે.
એક તરફ ખુદ વન વિભાગ જ પર્યાવરણ દિવસ નિમિત્તે 50,000 મતદાન મથક હેઠળના વિસ્તારોમાં 12-12 વૃક્ષોનું વાવેતર કરવા પ્રયત્નશીલ થયો છે, તો બીજી તરફ માઇનિંગ પ્રોજેક્ટના કારણે જંગલની જ જમીનમાં આશરે 5500 જેટલા મોટા અને જૂના વૃક્ષોને કાપી નાખવાની મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માત્ર વૃક્ષોનું નુકસાન નથી પરંતુ સમગ્ર વિસ્તારની જૈવવિવિધતા, જળસંચયની ક્ષમતા અને વન્યજીવોના આશ્રયસ્થાન પર સીધો અને જીવલેણ પ્રહાર છે. જંગલો કપાવાથી વન્યજીવો માનવ વસવાટ તરફ વળશે જેનાથી ભવિષ્યમાં માનવ-સિંહ સંઘર્ષના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ શકે છે.
સ્થાનિક સંગઠનો અને પર્યાવરણવાદીઓ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે, એક તરફ સરકાર વૈશ્વિક સ્તરે ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાન ચલાવીને વૃક્ષારોપણનો પ્રચાર કરે છે તો બીજી તરફ ઉદ્યોગોના ફાયદા માટે જંગલની જ જમીનમાં હજારો જીવંત વૃક્ષોના નિકંદનને મંજૂરી કઈ રીતે આપી શકાય ? શું સરકાર હવે ‘૫૫૦૦ પેડ સિમેન્ટ ફેક્ટરી કે નામ’ની નીતિ અપનાવી રહી છે ?!
પ્રકૃતિ બચશે તો જ ભવિષ્ય બચશે તે મુદ્દાને ખરા અર્થમાં મહત્વ આપવું જરૂરી છે. વિકાસ જરૂરી છે પરંતુ પ્રકૃતિ અને વિકાસ વચ્ચે સંતુલન હોવું અનિવાર્ય છે. સિંહોના આ મહત્વપૂર્ણ કોરિડોર અને જંગલ વિસ્તારના ભોગે થઈ રહેલો આ વિકાસ આવનારી પેઢી માટે વિનાશક સાબિત થઈ શકે છે. સિંહોનાં હિતમાં અને પર્યાવરણની રક્ષા કાજે બાબરાકોટ લાયન કોરિડોરમાં થનારી માઇનિંગની મંજૂરી તાત્કાલિક રદ કરવામાં આવે અને સિંહોના આ આખરી ઘરને ઉજ્જડ થતું બચાવવામાં આવે તે જ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ ગણાશે તેવું પર્યાવરણપ્રેમીઓ માને છે.










