The Unraveling of Rajesh Exports: એક સમયે જે કંપનીની સફળતા કોર્પોરેટ જગતમાં ઉદાહરણરૂપ ગણાતી હતી, જેણે પ્રતિષ્ઠિત સ્વિસ રિફાઇનરી ખરીદીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો હતો, તે ‘રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ’ આજે ભારતીય ઇતિહાસના સૌથી મોટા વિવાદમાં ફસાઈ છે. સેબી દ્વારા કંપની અને તેના પ્રમોટર-ચેરમેન રાજેશ મહેતા પર રૂ. 15.15 લાખ કરોડની આવકની હેરાફેરી અને છેતરપિંડીના આરોપસર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે. આ આંકડો એટલો વિશાળ છે કે તે કેટલાય નાના દેશોના જીડીપી કરતા પણ વધારે છે. આ પગલાં પછી રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં કડાકો બોલી ગયો છે, જ્યારે રાજેશ મહેતા રટણ કરી રહ્યા છે કે, ‘મારી કંપનીની આવક સાચી છે, અમે કંઈ ખોટું કર્યું નથી.’
તો ચાલો સમજીએ મામલો શું છે…
સેબીની તપાસ અને રૂ. 15.15 લાખ કરોડની વિસંગતતા
આ વિવાદની શરૂઆત 11 માર્ચ, 2024ના રોજ સેબીને મળેલી એક શેરધારકની ફરિયાદથી થઈ હતી, જેમાં બે વર્ષથી વધુ સમયથી બાકી રહેલા અસામાન્ય મોટા વેપાર પ્રાપ્તિપત્રો (Trade Receivables) પર સવાલ ઉઠાવાયા હતા. સેબીએ ઓક્ટોબર 2024માં તપાસ અધિકારી અને ત્યારબાદ ફોરેન્સિક ઓડિટરની નિમણૂક કરી હતી.
સેબીના 109 પાનાના વચગાળાના આદેશમાં જણાવાયું છે કે, આ કંપનીએ નાણાકીય વર્ષ 2021થી 2025 વચ્ચે તેની એકીકૃત આવક (Consolidated Revenue)માં અંદાજે રૂ. 15.15 લાખ કરોડની ખોટી રજૂઆતો કરી છે. જેમ કે..
– આવકની માયા જાળ: કંપનીની 97% થી 99% આવક વિદેશી પેટા કંપનીઓ (ખાસ કરીને ‘વાલ્કેમ્બી’)માંથી આવતી દર્શાવાઈ હતી. પરંતુ ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું કે ગ્રૂપ સ્તરે નોંધાયેલી આવક અને પેટા કંપનીઓના વાસ્તવિક રેકોર્ડ વચ્ચે કોઈ મેળ નથી. આ વિસંગતતા કુલ આવકના 99.8% જેટલી છે.
– અસહકારનો આરોપ: સેબીના જણાવ્યાનુસાર, કંપની અને તેના ઓડિટરોએ તપાસમાં સહકાર આપ્યો નથી અને ઓડિટ વર્કિંગ પેપર્સ કે ગ્રાહક-વિક્રેતાના મહત્ત્વના દસ્તાવેજો રજૂ કર્યા નથી.

તપાસમાં બહાર આવેલા અન્ય શંકાસ્પદ વ્યવહારો
સેબીની તપાસમાં માત્ર આવકની હેરાફેરી જ નહીં, પણ અન્ય કેટલાક ગંભીર મુદ્દાઓ પણ સામે આવ્યા છે.
– આફ્રિકન ગોલ્ડ માઇન મિસ્ટ્રી: કંપનીએ આફ્રિકામાં સોનાની ખાણની સંપત્તિમાં રૂ. 1,035 કરોડનું રોકાણ દર્શાવ્યું છે, પરંતુ આ રોકાણના અસ્તિત્વ કે મૂલ્યાંકનને સાબિત કરતા કોઈ પુરાવા સેબીને મળ્યા નથી.
– એફ્લુઅન્સ શેર્સ પઝલ: રાજેશ એક્સપોર્ટ્સે ‘એફ્લુઅન્સ શેર્સ એન્ડ સ્ટોક્સ પ્રા. લિ.’ સાથે રૂ. 11,487 કરોડનું વેચાણ અને રૂ. 11,488 કરોડની ખરીદી નોંધી હતી. જો કે, તપાસમાં એફ્લુઅન્સ કંપનીએ સ્પષ્ટ ના પાડી દીધી કે રાજેશ એક્સપોર્ટ્સ તેમનો ક્યારેય ક્લાયન્ટ રહ્યો જ નથી.
– ફંડ ડાયવર્ઝન: આરોપ છે કે બોર્ડની મંજૂરી કે જાહેરાત વિના કંપનીના ભંડોળમાંથી રૂ. 7.4 કરોડ રાજેશ મહેતાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ વ્યક્તિગત ડેરિવેટિવ ટ્રેડિંગ માટે કરવામાં આવ્યો હતો.
કંપનીનો બચાવ અને બજારની પ્રતિક્રિયા
રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડે સેબીના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીનું કહેવું છે કે આ આદેશ માત્ર વચગાળાનો છે અને તે કોઈ અંતિમ આદેશ નથી. કંપની અને સેબી વચ્ચે માત્ર ‘કમ્યુનિકેશન ગેપ’ છે, જે ટૂંક સમયમાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને સ્પષ્ટ કરી દેવાશે. જો કે, આ બચાવ પછીયે રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં 5%ની લોઅર સર્કિટ લાગી હતી.
રૂ. 1,200 ઉધાર લઈ રાજેશ મહેતાએ શરૂ કર્યો હતો બિઝનેસ
20 જૂન, 1964ના રોજ બેંગલુરુમાં જન્મેલા રાજેશ મહેતા ‘રાજેશ એક્સપોર્ટ્સ’ના ચેરમેન છે. સોના અને ઝવેરાત ઉદ્યોગમાં ભારતના સૌથી અગ્રણી ઉદ્યોગ સાહસિકો પૈકીના એક ગણાય છે. મધ્યમ વર્ગીય જૈન પરિવારમાં જન્મેલા રાજેશ મહેતાના પિતા 1946માં મોરબીથી બેંગલુરુ સ્થળાંતર થયા હતા અને ત્યાં તેમણે ‘રાજેશ ડાયમંડ કંપની’ નામે સેમી-પ્રેશિયસ સ્ટોન્સ (અર્ધ-કિંમતી પથ્થરો)ના વેપારનો નાનો વ્યવસાય શરૂ કર્યો હતો.
બેંગલુરુની સેન્ટ જોસેફ સ્કૂલ અને ત્યારબાદ નેશનલ કોલેજમાં અભ્યાસ કરનાર રાજેશ મહેતા શરૂઆતમાં ડૉક્ટર બનવા માંગતા હતા. જો કે, તેમણે ઉચ્ચ શિક્ષણના બદલે પિતાના વ્યવસાયમાં જોડાવાનું પસંદ કર્યું. 1980ના દાયકામાં જ્વેલરી ઉદ્યોગ ઘણો અસંગઠિત હતો. આ સમયે તેમણે અને તેમના ભાઈ પ્રશાંતે બેંકમાં નોકરી કરતા મોટા ભાઈ બિપિન પાસેથી માત્ર રૂ. 1,200 ઉધાર લઈને પોતાનો વ્યવસાય શરૂ કર્યો.
તેમણે ચેન્નાઈથી ઝવેરાત ખરીદીને રાજકોટમાં સંબંધીઓને નફા સાથે વેચવાનું શરૂ કર્યું. ત્યારબાદ ગુજરાતમાંથી ચાંદીના દાગીના ખરીદીને દક્ષિણ ભારતમાં વેચવાનો મોટો વેપાર ઊભો કર્યો. ધીમે-ધીમે ગુજરાત, મુંબઈ અને દક્ષિણ ભારતમાં તેમનું નેટવર્ક ફેલાઈ ગયું.
‘રાજેશ એક્સપોર્ટ્સ’નો ઉદય અને વૈશ્વિક ક્ષમતા
1989 (ગોલ્ડ બિઝનેસ): ચાંદીમાં સફળતા મળ્યા બાદ બેંગલુરુમાં એક ગેરેજમાંથી 10 કારીગરો સાથે ‘રાજેશ એક્સપોર્ટ્સ’ની સ્થાપના કરી અને સોનાના વ્યવસાયમાં ઝંપલાવ્યું. કંપની યુનાઇટેડ કિંગડમ, દુબઈ, ઓમાન, કુવૈત, યુએસ અને યુરોપમાં નિકાસ કરવા લાગી.
– 1992-1995 (IPO અને ગ્રોથ): 1992 સુધીમાં કંપનીની નિકાસ રૂ. 2 કરોડ થઈ અને 1995માં કંપની રૂ. 10 કરોડના IPO સાથે શેરબજારમાં લિસ્ટ થઈ.
– 1998 (રિટેલ સેક્ટર): નિકાસ રૂ. 1.2 અબજે પહોંચી. કંપનીએ કર્ણાટકમાં ‘શુભ જ્વેલર્સ’ ના નામે રિટેલ સ્ટોર્સ શરૂ કર્યા, જેની સંખ્યા આજે 81 પર પહોંચી છે.
– 2015 (વૈશ્વિક ધમાકો): કંપનીએ સ્વિસ ગોલ્ડ રિફાઇનરી ‘વાલ્કેમ્બી’ (Valcambi) ને 400 મિલિયન ડોલરમાં ખરીદીને દુનિયાને ચોંકાવી દીધી. આ સ્વિસ કંપની વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક છે.
– 2017 (ફોર્બ્સ લિસ્ટ): ફોર્બ્સના અહેવાલ મુજબ, એપ્રિલ 2017માં રાજેશ મહેતા 2.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ભારતના 61મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.
રોકાણકારો અને બેંકો પર મોટી અસર
– LICનું મોટું નુકસાન: સરકારી વીમા કંપની LIC આ કંપનીમાં 10.80%નો મોટો હિસ્સો ધરાવે છે. રાજેશ એક્સપોર્ટ્સના શેર ગગડતાં તેના શેરમાં પણ 1%થી વધુનો ઘટાડો નોંધાયો છે. સેબીના અંદાજ મુજબ, આ વિવાદથી શેરધારકોની વેલ્થનું અંદાજે રૂ. 12,726 કરોડનું ધોવાણ થઈ શકે છે.
– કેનેરા બેંકની એક્શન: સિક્યોરિટીઝ માર્કેટ ઉપરાંત, કેનેરા બેંકે પણ લોન ડિફોલ્ટના કારણે રાજેશ એક્સપોર્ટ્સના રૂ. 509 કરોડના એક્સપોઝરને સ્ટ્રેસ્ડ એસેટ (Stressed Asset) જાહેર કરીને તેની રિકવરી માટે હરાજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
રોકાણકારો માટે પણ મહત્ત્વનો બોધપાઠ
માર્કેટ નિષ્ણાતોના મતે, આ કેસ રિટેલ રોકાણકારો માટે એક મોટો બોધપાઠ છે. કંપની ગમે તેટલી મોટી કે પ્રતિષ્ઠિત હોય, રોકાણકારોએ હંમેશાં પોતાના પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ રાખવું જોઈએ. માત્ર આકર્ષક આવકના આંકડા જોવાના બદલે કોર્પોરેટ ગવર્નન્સ, ઓડિટરની ટિપ્પણીઓ અને નાણાકીય પારદર્શકતા પર સતત નજર રાખવી અનિવાર્ય છે.










