![]()
Mansukh Vasava Controversial Advice: ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે ‘આદર્શ ગ્રામવિકાસ સમિતિ’ની પ્રથમ બેઠકમાં આપેલા નિવેદનોથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો અને સ્થાનિક પ્રશ્નો અંગે સાંસદે ખુલ્લીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં આદિવાસી સમાજને મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવાનું વિવાદિત સૂચન પણ કર્યું હતું.
નબળા બાંધકામનો સમગ્ર દોષ ‘નરેગા’ યોજના પર ઢોળ્યો
હાલમાં ઢોલાર ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાં ઉદ્ઘાટન પહેલા જ મોટી તિરાડો પડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ બેઠક દરમિયાન સાંસદે આ મુદ્દે સ્પષ્ટતા કરતા નબળા બાંધકામનો સમગ્ર દોષ ‘નરેગા’ (NREGA) યોજના પર ઢોળી દીધો હતો. જો કે તેમણે ગ્રામજનોને આશ્વાસન આપતા ખાતરી આપી હતી કે તેઓ આનાથી પણ સારું અને નવું મકાન બનાવી આપશે.
મહુડાનો દારૂ પીવાની વિવાદિત સલાહ
બેઠક દરમિયાન મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં કેમિકલવાળો દારૂ ઘુસાડતા બુટલેગરો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બુટલેગરો મોટા કન્ટેનરો ભરીને દારૂ લાવે છે અને આદિવાસી યુવાનોને બરબાદ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક આશ્ચર્યજનક સલાહ આપતા જણાવ્યું કે, ‘બુટલેગરોનો કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવા કરતા, આદિવાસીઓએ ઘરે જાતે મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવો જોઈએ.’ સાંસદની આ ખુલ્લી સલાહ બાદ સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
‘ભણશો તો નોકરી હું અપાવીશ’: યુવાનોને ટકોર
દારૂના રવાડે ચડેલા આદિવાસી યુવાનોને આડે હાથ લેતા સાંસદે ભગવાન બિરસા મુંડાના આદર્શો યાદ અપાવ્યા હતા. તેમણે ટકોર કરી કે, ‘આપણે માત્ર ‘બિરસા મુંડા ઝિંદાબાદ’ના નારા લગાવીએ છીએ, પણ તેમના સંઘર્ષને ભૂલી ગયા છીએ. આજનો યુવાન તીરકામઠાની જગ્યાએ દારૂની બોટલો લઈને ફરે છે.’ તેમણે યુવાનોને આહવાન કર્યું કે તેઓ સારું શિક્ષણ મેળવીને લાયક બને, ઉદ્યોગોમાં ઘણી નોકરીઓ છે અને લાયક યુવાનોને નોકરી અપાવવાની જવાબદારી તેમની પોતાની રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્શન ખુલ્યું, સાયબર સેલનું ઓપરેશન
વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો
સોશિયલ મીડિયા પર ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા વસાવાએ કહ્યું કે, ‘તેમને રાજકારણનો ‘ર’ પણ ખબર નથી.’ આજકાલના બની બેઠેલા નેતાઓને ભાજપે કરેલા વિકાસકામોની કોઈ જાણકારી જ નથી. વિરોધીઓ માત્ર આદિવાસી યુવાનો અને મહિલાઓને દારૂ પીવડાવીને ગેરમાર્ગે દોરવાનું અને નચાવવાનું રાજકારણ રમી રહ્યા છે. મનસુખ વસાવાના આ આકરા અને વિવાદાસ્પદ તેવર બાદ નર્મદા જિલ્લાનું રાજકારણ બરાબરનું ગરમાયું છે.










