India Bangladesh Border Tension : શુક્રવારે સવારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ભારે તણાવનો માહોલ જોવા મળ્યો હતો. ભારતમાં ઘૂસણખોરી કરવાના ઈરાદા સાથે બોર્ડરની પેલે પાર બાંગ્લાદેશીઓનું એક જૂથ એકત્ર થવા લાગ્યું હતું. અહીં સરહદ પર કાંટાળો તાર લગાવેલો છે. સ્થાનિક લોકોએ આ ઘટનાક્રમની માહિતી તાત્કાલિક BSFને આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલા BSFના અધિકારીઓએ બાંગ્લાદેશીઓને ત્યાંથી ભગાડી દીધા હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને ચુસ્ત દેખરેખ હોવા છતાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોની માહિતી બાદ તાબડતોબ BSF એ મોરચો સંભાળવો પડ્યો હતો. આ ઘટના ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર કુચબિહાર જિલ્લાના મેખલીગંજ બ્લોકમાં બની હતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના લાલમોનિરાહટ જિલ્લામાં આવેલી ઔલિયાહાટ બોર્ડર ભારતીય સરહદની બિલકુલ સામે આવેલી છે. શુક્રવારે સવારે તે વિસ્તારમાં ઝીરો પોઈન્ટ પાસે અચાનક કેટલાક બાંગ્લાદેશીઓ એકઠા થવા લાગ્યા અને ધીમે-ધીમે તેમની સંખ્યા વધતી ગઈ. અહેવાલો અનુસાર, આ બાંગ્લાદેશીઓએ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સમાચાર ફેલાતા જ સરહદી વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બોર્ડર પાર બાંગ્લાદેશીઓને જમા થતા જોઈને લોકોને લાગ્યું કે આનાથી ઘર્ષણની સ્થિતિ સર્જાઈ શકે છે.
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ સરકારે ઘૂસણખોરો વિરૂદ્ધ કડક ઝુંબેશ ચલાવી છે. સરકાર બંગાળમાંથી વીણી-વીણીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢી રહી છે. ભારત તરફથી બોર્ડર પર સેંકડો બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘણા દિવસોથી વતન વાપસીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશ તેમને અંદર આવવા જ નથી દઈ રહ્યું.
કુચબિહારમાં બાંગ્લાદેશીઓએ કર્યો ઘૂસણખોરીનો પ્રયાસ
આ બધાની વચ્ચે કુચબિહારમાં બાંગ્લાદેશ તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ થયો છે. સ્થાનિક લોકો દ્વારા જ્યારે ઝીરો પોઈન્ટ પર બાંગ્લાદેશીઓના જમાવડાની માહિતી BSFને આપવામાં આવી, ત્યારે BSF એ તરત જ પગલાં લીધા અને અર્ધસૈનિક દળોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ભારતમાં ઘૂસવાના તેમના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો.
મેખલીગંજના BJP ધારાસભ્યએ જણાવ્યું કે, ‘બાંગ્લાદેશી ઘૂસણખોરોના એક જૂથે તીન ભીઘાના રસ્તે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. BSF એ તેમની આ કોશિશને નાકામ કરી દીધી છે. બાંગ્લાદેશ તરફથી કોઈપણ કિંમતે ઘૂસણખોરી સહન કરવામાં આવશે નહીં.’

કુચબિહાર બોર્ડર પર બાંગ્લાદેશીઓનો જમાવડો
સ્થાનિક વહીવટીતંત્ર અને BSF એ લોકોને એલર્ટ રહેવા અને ઘૂસણખોરીની તાત્કાલિક માહિતી વહીવટી અધિકારીઓને આપવા જણાવ્યું છે. BSF ના વરિષ્ઠ અધિકારીઓ પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને સરહદ પર સુરક્ષા વધુ મજબૂત કરી દેવામાં આવી છે.
કુચબિહાર ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ઘૂસણખોરી માટે કેમ અનુકૂળ છે?
કુચબિહાર જિલ્લો બાંગ્લાદેશ સાથે આશરે 549 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જે ભારતની સૌથી જટિલ અને સંવેદનશીલ સરહદોમાંથી એક માનવામાં આવે છે. આ લાંબી સરહદમાં ઘણી નદીઓ વહે છે જ્યાં ફેન્સિંગ (કાંટાળા તાર) લગાવવા ખૂબ મુશ્કેલ હોય છે. તીસ્તા, જલઢાકા, તોર્સા અને કાલજાની જેવી નદીઓ અહીં સરહદ પાર કરે છે, જેના કારણે રાતના અંધારામાં હોડીઓ દ્વારા સરળતાથી ઘૂસણખોરી થઈ જાય છે. આ વિસ્તારો હજુ પણ ભૌગોલિક રીતે એટલા ગૂંચવાયેલા છે કે, ત્યાં દેખરેખ રાખવી પડકારજનક બનેલી છે.

આ બધા કારણો ભેગા મળીને કુચબિહારને ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ઘૂસણખોરી, તસ્કરી (સ્મગલિંગ) અને ગેરકાયદેસર અવરજવર માટે સૌથી અનુકૂળ જગ્યા બનાવે છે. સરકાર હવે ફેન્સિંગને વધુ સઘન બનાવવા અને ડ્રોન તેમજ કેમેરા જેવી આધુનિક સર્વેલન્સ સિસ્ટમ લગાવવાનો પ્રયાસ કરી રહી છે.










