![]()
Zojila Tunnel connectivity: ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં આજે એક મોટી સફળતા મળી છે. દુનિયાની સૌથી વધુ ઊંચાઈ પર આવેલી અને સૌથી લાંબી સિંગલ-ટ્યુબ ‘જોજિલા ટનલ’નું અંતિમ ‘બ્રેકથ્રૂ બ્લાસ્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. બ્રેકથ્રૂ એટલે કે ટનલની અંદરની છેલ્લી પથરાળ દીવાલને ધડાકા સાથે તોડીને આરપાર રસ્તો સાફ કરવો. આ સફળ વિસ્ફોટની સાથે જ ટનલના બંને છેડા હવે એકબીજા સાથે જોડાઈ ગયા છે. આ ઐતિહાસિક સિદ્ધિને કારણે કાશ્મીર અને લદાખ વચ્ચે ભારે બરફવર્ષામાં પણ બારેમાસ અવરજવર ચાલુ રાખવાનું વર્ષો જૂનું સપનું હવે પૂરું થવાના આરે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં શરૂઆત
જમ્મુ-કાશ્મીરને લદાખ સાથે જોડતી આ વ્યૂહાત્મક ટનલના સફળ બ્રેકથ્રૂના અવસરે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ (LG) મનોજ સિંહા પોતે હાજર રહીને આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા હતા. આ સફળતા બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ખુશી વ્યક્ત કરતાં લદાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિપરીત સંજોગો અને અતિશય ઊંચાઈ પર રાત-દિવસ કામ કરનારા તમામ એન્જિનિયરો અને શ્રમિકોની પ્રશંસા કરતાં કહ્યું કે, કનેક્ટિવિટીથી જ વિકાસ શક્ય બને છે અને છેલ્લા 12 વર્ષોમાં આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ થયું છે.
એશિયા જ નહીં, વિશ્વના ઇતિહાસમાં નંબર-1 બનશે આ ટનલ: નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિને ભારતીય એન્જિનિયરિંગના ઇતિહાસનો સુવર્ણ દિવસ ગણાવ્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, ‘અત્યાર સુધી આપણે આને એશિયાની સૌથી લાંબી ટનલ કહી રહ્યા હતા, પરંતુ હવે આ ટનલ વિશ્વના ઇતિહાસમાં પણ નંબર-1 પર સ્થાન મેળવશે. આ લેહ અને લદાખના લોકો માટે સાચી લાઇફલાઇન છે. જ્યારે આ ટનલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં માઇનસ 4 ડિગ્રી કે તેનાથી પણ ઓછું તાપમાન હતું. આવી હાડ થીજવતી કડકતી ઠંડીમાં પણ એન્જિનિયર્સ, મજૂરો, કોન્ટ્રાક્ટરો અને ડૉક્ટરોની ટીમે અદ્ભુત મહેનત કરીને આ કમાલ કરી બતાવ્યો છે. આ ટનલ વૈશ્વિક કક્ષાના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.’
સમય મર્યાદાથી 6 મહિના વહેલું કામ પૂરું: જાણો ક્યારે ખુલશે જનતા માટે?
નેશનલ હાઇવે ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(NHIDCL)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ટનલનું આ બ્રેકથ્રૂ તેના નિર્ધારિત સમય કરતાં લગભગ 6 મહિના વહેલું કરી લેવામાં આવ્યું છે. આ બ્રેકથ્રૂ બાદ હવે આગામી 7થી 8 મહિના સુધી સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલશે, જેના પછી ઈલેક્ટ્રિકલ અને અન્ય ટેકનિકલ ફિટિંગ શરૂ કરાશે. અધિકારીઓને આશા છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028 સુધીમાં આ ટનલને સામાન્ય જનતાની અવરજવર માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે.
આ પણ વાંચો: હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો…’, બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ
કેવી છે આ ટનલ અને તેનાથી શું ફાયદો થશે?
ભૌગોલિક ઊંચાઈ: આ ટનલ દરિયાઈ સપાટીથી 11,578 ફીટની અદ્ભુત ઊંચાઈ પર નિર્માણ પામી છે.
લંબાઈ અને કદ: મૂળ સુરંગની લંબાઈ 13.153 કિલોમીટર છે, જે 9.5 મીટર પહોળી અને 7.57 મીટર ઊંચી છે.
આકાર: આ ઘોડાની નાળ આકારની ટનલ છે, જેમાં બે લેન (Two-lane) રસ્તો બનાવવામાં આવ્યો છે.
સમયની બચત: ટનલ શરૂ થયા પછી જોજિલા પાસ પરથી પસાર થવામાં લાગતો 1થી 1.5 કલાકનો સમય ઘટીને માત્ર 15 મિનિટ રહી જશે. એટલે કે 1 કલાકથી વધુની સફર માત્ર 15 મિનિટમાં પૂરી થશે.
જોડાણ: આ ટનલ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલટાલને લદાખના દ્રાસ જિલ્લાના મિનીમાર્ગ સાથે સીધી જોડશે.
31 કિલોમીટરનો આખો પ્રોજેક્ટ અને આધુનિક ટૅક્નોલૉજી
આ આખી પરિયોજનાની કુલ લંબાઈ 31 કિલોમીટર છે, જેમાં 18 કિલોમીટર લાંબા એપ્રોચ રોડ અને પુલ સામેલ છે. હિમાલયની અત્યંત જટિલ અને કઠિન પથરાળ સંરચનાઓને ભેદીને બનાવેલી આ મુખ્ય ટનલનું નિર્માણ મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ(MEIL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટનલના નિર્માણમાં ‘ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ'(NATM) ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાયો છે. ટનલની અંદર સેમી-ટ્રાન્સવર્સ વેન્ટિલેશન સિસ્ટમ, ચોવીસ કલાક સીસીટીવી(CCTV) નજર, અદ્યતન રેડિયો સંચાર વ્યવસ્થા, પાવર કટ વગરનો અવિરત વીજ પુરવઠો અને સ્માર્ટ ટનલ (SCADA) મેનેજમેન્ટ સિસ્ટમ જેવી હાઇ-ટેક સુવિધાઓ ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો: જયપુરમાં મોટી દુર્ઘટના ! ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 3 લોકોના મોત
દેશની સુરક્ષા અને અર્થતંત્ર માટે કેમ મહત્ત્વની છે આ ટનલ?
સામરિક(લશ્કરી) દૃષ્ટિએ આ ટનલ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ભારે બરફવર્ષાના કારણે દર વર્ષે શિયાળાના મહિનાઓમાં લદાખનો સંપર્ક બાકીના દેશથી તૂટી જતો હતો, જે હવે હંમેશા માટે બંધ થઈ જશે. આ ટનલ ખુલ્લી થવાથી સરહદી વિસ્તારોમાં સેનાની ત્વરિત તહેનાતી અને હથિયાર અને ખાદ્ય સામગ્રીનો પુરવઠો ખૂબ જ ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે.
આ ઉપરાંત, સ્થાનિક અર્થતંત્ર માટે પણ આ આશીર્વાદરૂપ બનશે. લદાખ સુધી બારેમાસ વાહનવ્યવહાર ચાલુ રહેવાથી પ્રવાસન (ટુરિઝમ), વેપાર અને રોજગારીને મોટો વેગ મળશે. તેમજ આ સુરંગ શરૂ થવાથી શિયાળામાં પણ વસ્તુઓની આપ-લે અને વ્યાપાર અટકશે નહીં, જેનાથી આખા ક્ષેત્રની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે.










