![]()
Property And Pension Dispute In Chhota Udepur: પૈસા અને જમીન-મિલકતની લાલચમાં સગા સંબંધો લોહીના તરસ્યા બનતા હોવાની વધુ એક કૌટુંબિક સંબંધોને શર્મસાર કરતી ઘટના છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખાટિયાવાટ ગામેથી સામે આવી છે. મૃતક પિતાના રિટાયરમેન્ટના અને માતાના પેન્શનના પૈસાના ભાગ પાડવા માટે ભેગા થયેલા ભાઈઓ વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે, એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાખી છે. મિલકત અને પૈસાના વિવાદે હસતા-રમતા પરિવારને માતમમાં ધકેલી દીધો છે.
જાણો શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, વડોદરાના કલાલી ખાતે રહેતા ચાર ભાઈ અને બે બહેનોના પિતા દેવસિંગ રાઠવા રેલવે વિભાગમાં પોલીસ તરીકે નોકરી કરતા હતા. તેમના અવસાન બાદ તેમના રિટાયરમેન્ટના પૈસા મળ્યા હતા. આ રકમ માતાના પેન્શન અને અન્ય પારિવારિક મિલકતના હિસ્સાને લઈને ચાર ભાઈઓ વચ્ચે લાંબા સમયથી ગંભીર મતભેદ ચાલી રહ્યા હતા. આ દરમિયાન, મિલકતના હિસ્સા અંગે અંતિમ ચર્ચા કરવા માટે વિજય રાઠવા ડભોઇ ખાતે રહેતા તેના ભાઈ હિતેશને સાથે લઈને પોતાના વતન કવાંટના ખાટિયાવાટ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમનો ભાઈ બળવંત રાઠવા અન્ય સભ્યો અને તેની માતા પણ હાજર હતી.
ગામના પંચોની હાજરીમાં આ મિલકતની ન્યાયિક ચર્ચા કરવાની હોવાથી, વિજયે પંચોને બોલાવવાનું કહ્યું હતું. આ સાંભળતા જ બીજો ભાઈ બળવંત રાઠવા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ગુસ્સામાં અંધ બનેલા બળવંત રાઠવાએ સગા ભાઈ વિજય રાઠવાના માથાના ભાગે લોખંડના તાર વીંટાળેલા લાકડાના દંડાનો જોરદાર ફટકો મારી દીધો હતો.
આ જીવલેણ હુમલામાં વિજય ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. તેને ગંભીર હાલતમાં તાત્કાલિક બોડેલીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સ્થિતિ વધુ વણસતા તેને વડોદરા રિફર કરાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વિજય રાઠવાએ દમ તોડી દીધો હતો.
આ પણ વાંચો: 21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું
મૃતકની માતા અને આરોપી સામે ગંભીર આક્ષેપો
ચાર ભાઇઓ પૈકી એક ભાઈનું અગાઉ પણ મોત થઈ ચૂક્યું છે. તેમની વિધવા પત્નીએ આક્ષેપ લગાવ્યો છે કે, ‘બળવંત મિલકતના ભાગ અને માતા-પિતાના પૈસાને લઈને અગાઉ પણ વારંવાર ઝઘડા કરી ચૂક્યો છે. બળવંત અને મારી સાસુએ હિસ્સો આપવાની ના પાડતા હતા.’ તો બીજી તરફ, અન્ય ફરિયાદીની પત્નીએ પણ આ સમગ્ર હત્યાકાંડની ઘટનામાં મૃતકની માતાની ભૂમિકા અંગે ગંભીર આક્ષેપો કરીને તપાસની માંગ કરી છે.
હત્યારો ભાઈ જેલના સળિયા પાછળ
ભયાનક હુમલો કર્યા બાદ હત્યારો ભાઈ બળવંત રાઠવા ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. જોકે, કૌટુંબિક હત્યાના આ બનાવની ગંભીરતાને જોઈને સ્થાનિક પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે જુદી-જુદી દિશામાં ચક્રો ગતિમાન કરીને હત્યારા ભાઈને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. ભાઈએ જ ભાઈનો જીવ લીધો હોવાના આ કિસ્સામાં પરિવારજનો હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કાયદાકીય રીતે યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.










