દેશના સૌથી લાંબા સમય સુધી સતત જનસેવામાં સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના યશસ્વી કાર્યકાળની ઉજવણી
આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ અને નાગરિકોએ કર્યું સામૂહિક શ્રમદાન
દેશના સૌથી લાંબા સમય સુધી સતત જનસેવામાં સમર્પિત રહીને રાષ્ટ્રના વિકાસને નવી દિશા આપનાર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષના સફળ, જનકેન્દ્રિત અને વિકાસલક્ષી કાર્યકાળની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ‘૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત ૧૫૮-કામરેજ વિધાનસભા વિસ્તારમાં આરોગ્ય રાજ્યમંત્રી તથા કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાલક પાટિયા ખાતે ઈન્ફિનિટી બાગ, પેરેડાઈઝ ફાર્મની સામે અને જમનાબા ભવનની પાછળ આવેલા વિસ્તારમાં યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં પક્ષના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ, યુવા મોરચાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને શુભેચ્છકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે છેલ્લા ૧૨ વર્ષમાં વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને જનભાગીદારીના અનેક નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ‘સ્વચ્છ ભારત અભિયાન’ માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ જનઆંદોલન બનીને દેશના કરોડો નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર જવાબદારી નહીં પરંતુ સામાજિક સંસ્કાર છે. વડાપ્રધાનશ્રીના સ્વચ્છ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિકે પોતાની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં સક્રિય યોગદાન આપવું જોઈએ.
અભિયાન દરમિયાન ઉપસ્થિત તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકોએ સામૂહિક શ્રમદાન કરીને વિસ્તારની સફાઈ કરી હતી તથા સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિકાસ, સેવા અને જનકલ્યાણના મૂલ્યોને ઉજાગર કરતા ઉત્સાહપૂર્ણ વાતાવરણનું નિર્માણ થયું હતું.










