Air India AI 479 Pakistan Airspace: ગયા સોમવારે (22 જૂન 2026) રાત્રે દિલ્હીથી અમૃતસર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-479માં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે વિમાન પોતાના નિર્ધારિત રસ્તા પરથી ભટકી ગયું અને સીધું પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પહોંચી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન એર ટ્રાફિક ઓથોરિટીની ચેતવણી મળ્યા બાદ જ પાયલોટને આ વાતની ખબર પડી, જે પછી વિમાને યુ-ટર્ન લીધો અને પરત ભારતીય એરસ્પેસ તરફ વળ્યું. આ ઘટના સામાન્ય રસ્તો ભટકવા જેવી નથી કારણ કે જે એરસ્પેસમાં વિમાન ગયું તે અત્યારે ભારતીય વિમાનો માટે સંપૂર્ણપણે બંધ છે.
પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો પર પ્રતિબંધ
પાકિસ્તાન એરપોર્ટ્સ ઓથોરિટીએ ભારતીય રજિસ્ટ્રેશનવાળા તમામ વિમાનો, પછી તે કોમર્શિયલ હોય કે મિલિટરી, તેમના માટે પોતાનું એરસ્પેસ એપ્રિલ 2025થી બંધ કરી દીધું છે. આ પ્રતિબંધ દર મહિને NOTAM દ્વારા લંબાવવામાં આવતો રહ્યો છે. જે રાત્રે AI-479 રસ્તો ભટક્યું તે સમયે પણ આ પ્રતિબંધ લાગુ હતો અને 24 જૂનની સવાર સુધી લંબાવવામાં આવ્યો હતો. આ પછી 16 જૂને જાહેર કરાયેલા એક નવા નોટમથી તેને 24 જુલાઈ સુધી વધુ આગળ લંબાવી દેવામાં આવ્યો છે. આ જ કારણ છે કે જેવું વિમાન પાકિસ્તાનના લાહોર ફ્લાઇટ ઇન્ફોર્મેશન રીજનમાં દાખલ થયું, ત્યાંની એર ટ્રાફિક ઓથોરિટીએ તરત જ ચેતવણી જાહેર કરી દીધી.

તકનીકી ખામીને કારણે નેવિગેશન ખોરવાયું હોઈ શકે
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા બાદ સંબંધો તણાવપૂર્ણ છે. તેવા સમયે બંધ એરસ્પેસમાં કોઈ ભારતીય વિમાનનું ચાલ્યા જવું બાબતને ગંભીર બનાવી દે છે. જો કે અમૃતસર એરપોર્ટના સૂત્રો જણાવે છે કે વિમાન પાકિસ્તાન સરહદની અંદર દોઢ માઈલથી વધુ અંદર ગયું ન હતું. વિમાને સોમવારે રાત્રે 9:18 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી જે નિર્ધારિત સમય કરતાં માત્ર 3 મિનિટ મોડી હતી. અમૃતસરમાં લેન્ડિંગ રાત્રે 10 વાગ્યાને 30 મિનિટે થવાનું હતું, પરંતુ અધવચ્ચે આવેલી ટેકનિકલ ખામીથી વિમાનનું નેવિગેશન ખોરવાઈ ગયું અને તે સરહદ પાર કરી ગયું.
મુસાફરોએ ચાર કલાકનો વિલંબ વેઠવો પડ્યો
ભારતીય એરસ્પેસમાં પરત ફર્યા પછી પણ મુશ્કેલી ખતમ ન થઈ. ત્યાં સુધીમાં અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધી ગયો હતો જેના કારણે વિમાનને ઉતરવાની મંજૂરી ન મળી. વિમાન થોડીવાર અમૃતસરની આસપાસ ચક્કર લગાવતું રહ્યું પછી કંટ્રોલ રૂમના નિર્દેશ પર તેને પરત દિલ્હી મોકલવામાં આવ્યું જ્યાં સુરક્ષિત લેન્ડિંગ થયું. આશરે બે કલાકની રાહ જોયા બાદ વિમાનને ફરીથી અમૃતસર માટે ઉડાન ભરવાની મંજૂરી મળી અને આખરે સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે લગભગ 2 વાગ્યાને 20 મિનિટે તે અમૃતસર એરપોર્ટ પર સુરક્ષિત ઉતર્યું. આ સમગ્ર પ્રક્રિયામાં મુસાફરોને આશરે ચાર કલાકનો વિલંબ વેઠવો પડ્યો.
આ પણ વાંચો: કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી
સમગ્ર ઘટનાની તપાસ હજુ ચાલુ છે!
એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે રનવેની ઉપલબ્ધતા અને ટ્રાફિકના કારણે વિમાનને હવામાં રાહ જોવડાવવી એ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ આ કિસ્સામાં અસલી કારણ ટેકનિકલ ખામી અને રસ્તો ભટકવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં મામલાની તપાસ ચાલુ છે અને એ સ્પષ્ટ થયું નથી કે નેવિગેશન સિસ્ટમમાં આવેલી ગરબડ તેનું અસલી કારણ હતું.










