કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં આજે વહેલી સવારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોડેલ ગ્રામ હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’ના ૮૫મા રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ સાયકલ ચલાવી સૌને ફિટનેસને જીવનનો અભિન્ન ભાગ બનાવવા તેમજ નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. હણોલથી નેસડી અને નોઘણવદર સહિતના માર્ગે અંદાજે ૬ કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાયકલિંગ સરળ, સુલભ અને અસરકારક કસરત છે. નિયમિત સાયકલિંગથી શરીર સ્વસ્થ રહેવાની સાથે સક્રિય જીવનશૈલી કેળવાય છે. સાયકલિંગ પર્યાવરણના સંરક્ષણ, પ્રદૂષણમાં ઘટાડો અને ઈંધણની બચત માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે સૌને ‘સન્ડે ઑન સાયકલ’ને માત્ર એક દિવસ પૂરતી પ્રવૃત્તિ ન રાખતા દર રવિવારે સાયકલિંગ કરવાની ટેવ કેળવવા અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વસ્થ અને સશક્ત યુવા શક્તિ દેશની સૌથી મોટી તાકાત છે. યુવાનો રમતગમત અને ફિટનેસ સાથે જોડાય તથા નશાથી દૂર રહે તે માટે સમાજના દરેક વર્ગે સાથે મળીને પ્રયાસો કરવા જરૂરી છે. ‘ફિટ ઈન્ડિયા’ સાથે ‘નશામુક્ત ભારત’નો સંદેશ જન-જન સુધી પહોંચે અને યુવાનોમાં સ્વસ્થ જીવનશૈલીની ભાવના મજબૂત બને તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમમાં સાયકલિંગ ઉપરાંત યોગ, ઝુંબા અને ગરબા સહિતની વિવિધ ફિટનેસ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ ઉપરાંત વૉલીબૉલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ ઉપસ્થિતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય રમતવિજ્ઞાન નિષ્ણાત અને ફિટનેસ ટ્રેનર સુશ્રી ઉર્વશી પરવાની ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે ઉપસ્થિત યુવાનોને ફિટનેસ, આરોગ્યપ્રદ જીવનશૈલી અને રમતગમતના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતુ.
કેન્દ્રીય મંત્રીશ્રીની સક્રિય સહભાગિતા અને માર્ગદર્શનથી હણોલ ખાતે યોજાયેલ ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો કાર્યક્રમ યુવાનો અને ગ્રામજનોમાં ફિટનેસ તથા રમતગમત પ્રત્યે નવી ઊર્જા અને ઉત્સાહ જગાવનાર બન્યો હતો.
‘ફિટ ઈન્ડિયા–નશામુક્ત ભારત’ના સંદેશ સાથે સ્વસ્થ, સશક્ત અને નશામુક્ત યુવા શક્તિના નિર્માણ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ કાર્યક્રમ પ્રેરણાદાયી બની રહ્યો હતો.









