અંબાજી: શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ એવી ‘સિનર્જિયા ભારતમ–2026’ની 10મી આંતરરાષ્ટ્રીય પરિષદનું અંબાજીના વનરાજજી રિસોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ‘વૈશ્વિક સંશોધન અને ભારતીય શાણપણ’ વિષય પર યોજાયેલી આ પરિષદમાં દેશ-વિદેશના શિક્ષણવિદો અને પ્રોફેસરો એક મંચ પર આવ્યા હતા. મોટી સંખ્યામાં સંશોધન પત્રોની રજૂઆત થતાં આયોજકોના જણાવ્યા મુજબ પરિષદને વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવામાં આવી છે.

પરિષદમાં કુલ 1,454 પ્રોફેસરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1,267 પ્રોફેસરોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા. વિશ્વના 6 દેશો અને ભારતના 12 રાજ્યોમાંથી સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ થયેલા સંશોધન પત્રોમાંથી શ્રેષ્ઠ સંશોધન પત્રને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના પ્રોફેસરો દ્વારા લખાયેલા પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
શ્રી જી.એમ. પટેલ અને શ્રીમતી એમ.એમ. પટેલ કોમર્સ એન્ડ આર્ટ્સ મહિલા કોલેજ, ઊંઝા, આશા પરિવાર અને રાજા ગ્રુપ દ્વારા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ દરમિયાન વિવિધ ટેકનિકલ સેશન યોજાશે, જેમાં દેશ-વિદેશના વિદ્વાનો અને શિક્ષણવિદો વિવિધ વિષયો પર ચર્ચા કરી જ્ઞાનની આપ-લે કરશે.
યુવાનોને યોગ્ય દિશા આપવાની શિક્ષણવિદોને અપીલ

પરિષદમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રોફેસરો અને શિક્ષણવિદોને સંબોધિત કર્યા હતા. તેમણે વર્તમાન સમયમાં યુવા પેઢી પર પડી રહેલા નકારાત્મક પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, “આપણે એવા સમાજના વ્યક્તિ છીએ કે જે સમાજમાં પરિવર્તન લાવવાની તાકાત ધરાવે છે. વર્તમાન સમય આપણા સૌ માટે પડકારજનક છે.
આજે અનેક નકારાત્મક બાબતોનો પ્રભાવ આપણી યુવા શક્તિ પર પડી રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનોને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવા માટે પ્રોફેસરો તથા શિક્ષણવિદોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવ્યું હતું.








