ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રયોગો અને સામાજિક સેવા માટે સન્માન

ઉમરાળા તાલુકાની ધારૂકા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય પરેશભાઈ શંભુભાઈ મેરની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. શિક્ષણક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ કામગીરી,
નવીન શૈક્ષણિક પ્રયોગો, સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના સતત પ્રયત્નોને ધ્યાનમાં રાખીને આ સન્માન અપાયું છે.પરેશભાઈ મેર છેલ્લા 16 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. તેઓ PTC, M.A. અને B.Ed. જેવી શૈક્ષણિક લાયકાત ધરાવે છે.
તેઓ શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત ન રાખતા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ, મૂલ્યશિક્ષણ, પર્યાવરણપ્રેમ અને સામાજિક જવાબદારી વિકસે તે માટે સતત વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરે છે. તેમની શૈક્ષણિક કામગીરીમાં સામાજિક વિજ્ઞાન વિષય માટે TLM, ચાર્ટ, વર્કિંગ મોડેલ અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ, વિદ્યાર્થીઓની મદદથી પ્રોજેક્ટ તૈયાર કરાવવા,
ઐતિહાસિક સ્થળોની મુલાકાત, આપત્તિ વ્યવસ્થાપન આધારિત શિક્ષણ, બાળ સંસદ અને મૂલ્યશિક્ષણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.તેમણે અનેક શૈક્ષણિક ઇનોવેશન રજૂ કર્યા છે. જેમાં ‘ચાલો સામાજિક વિજ્ઞાનને સરળ બનાવીએ મને ઓળખો ચાલો અધ્યયન નિપુણતા સિદ્ધ કરીએ ન જોઈતા ને જોઈએ અને જાણીએ કોણ બનશે એક્સલન્ટ’ અને ‘ઓનલાઈન ક્વિઝ’ જેવા પ્રયોગો મુખ્ય છે.
તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નબેંક, ઓનલાઈન ક્વિઝ અને અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન થાય છે.કોરોના સમયગાળા દરમિયાન તેમણે માઇક્રોસોફ્ટ TEAMS સહિતના ડિજિટલ માધ્યમો દ્વારા નિયમિત ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું હતું.
NMMS અને જ્ઞાનસાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને તેમને સફળતા અપાવવામાં પણ તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત તેઓ પાણી બચાવો અભિયાન, પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે.
જરૂરિયાતમંદ બાળકોને અનાજ, શૈક્ષણિક કીટ, કપડાં અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે.તેમની કામગીરીને અનેક સ્તરે સન્માન મળ્યું છે.
તેમને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર, ગુજરાત સરકાર તરફથી તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, જિલ્લા કલેક્ટર તરફથી વિશેષ સન્માન અને રોટરી ક્લબ ભાવનગર તરફથી Nation Builder Award પ્રાપ્ત થયા છે.પરેશભાઈ મેરની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી બદલ ધારૂકા કેન્દ્રવર્તી શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સમગ્ર ઉમરાળા તાલુકામાં આનંદની લાગણી પ્રસરી છે. તેમની આ સિદ્ધિ શિક્ષણક્ષેત્રે કાર્યરત અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા







