![]()
CBSE Chairman Secretary Transferred : દેશની સૌથી મોટી સ્કૂલ પરીક્ષા સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની આંતરિક વ્યવસ્થા અને હાલમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પરીક્ષાઓના મેનેજમેન્ટ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં આવી રહેલી ટેકનિકલ તેમજ વ્યવહારિક ખામીઓ અંગે જવાબદારી નક્કી કરવા માટે સરકારે CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે.
એસ. રાધા ચૌહાણ કરશે તપાસ સમિતિની અધ્યક્ષતા
અધ્યક્ષ અને સચિવને પદ પરથી હટાવવાની સાથે જ સરકારે CBSE દ્વારા ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સેવાઓની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ ખરીદી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરશે. ક્ષમતા નિર્માણ આયોગ (Capacity Building Commission)ના ચેરપર્સન એસ. રાધા ચૌહાણને આ તપાસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સરકારી આદેશ અનુસાર, સમિતિના અધ્યક્ષ જરૂર પડ્યે અન્ય વિભાગો અને કચેરીઓના અધિકારીઓની મદદ પણ લઈ શકશે, જ્યારે કેપેસિટી બિલ્ડિંગ કમિટી દ્વારા તેમને સચિવાલય સહાય પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો : ભાજપને ભારે પડશે અન્નામલાઈની નારાજગી? તમિલનાડુના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેત
1 મહિનામાં સોંપવાનો રહેશે રિપોર્ટ
કેન્દ્ર સરકારે આ તપાસ સમિતિને પોતાનો વિસ્તૃત રિપોર્ટ ૧ મહિનાની અંદર કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) ને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી CBSE ની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ, મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ટેન્ડરની પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહ્યા હતા. આ બાબતે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા પણ પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. સરકારના આ કડક પગલાંને CBSE ની કામગીરીમાં જવાબદારી અને પારદર્શિતા નક્કી કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ અપીલ પાછળનું કારણ










