Silver Price Crash Explained : તાજેતરમાં વૈશ્વિક કોમોડિટી બજારમાં ચાંદીના ભાવમાં 1980 પછીનો સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો. એક જ ટ્રેડિંગ સેશનમાં ભાવમાં 32%થી વધુ ઘટાડો થતા લાખો રોકાણકારો અચંબામાં મુકાઈ ગયા. કરોડો ડૉલર જેટલું બજાર મૂલ્ય મિનિટોમાં ઘટી ગયું અને કિંમતી ધાતુઓના બજારની પારદર્શિતા અને માળખાકીય નબળાઈઓ અંગે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ. આ ઘટના સામાન્ય બજાર સુધારાની જેમ દેખાતી હોવા છતાં કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આ ઘટાડા પાછળ બજારની રચના, ભારે લિવરેજ, માર્જિન લિક્વિડેશન અને દિગ્ગજ બેંક જેપી મોર્ગન જેવા મોટા સંસ્થાગત ખેલાડીઓની વ્યૂહાત્મક ચાલ જેવા પરિબળો કારણભૂત હતા.
ચાંદીના બજારમાં આવેલો નાટ્યાત્મક ઘટાડો
30 જાન્યુઆરી, 2026ના રોજ ચાંદીના બજારમાં અચાનક ભારે ઘટાડો થતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. એક જ દિવસમાં સ્પોટ ચાંદી લગભગ 37% અને ફ્યુચર્સ લગભગ 31% તૂટીને $78.53 સુધી પહોંચી ગયા, જે 1980 પછીનો સૌથી મોટો ઘટાડો છે. અગાઉ ઔદ્યોગિક માંગ અને મર્યાદિત પુરવઠાને કારણે ઝડપથી વધતા ભાવ થોડા કલાકોમાં જ નીચે આવી જતા અન્ય પરિબળો સાથે શંકાની સોય જેપી મોર્ગન તરફ પણ છે.
ચાંદીનું બજાર ખરેખર કેવી રીતે કામ કરે છે
સામાન્ય રોકાણકારો માને છે કે ચાંદીનું ટ્રેડિંગ મુખ્યત્વે ભૌતિક ધાતુમાં થાય છે, પરંતુ હકીકતમાં મોટાભાગનું ટ્રેડિંગ ફ્યુચર્સ અને પેપર કોન્ટ્રાક્ટ્સ દ્વારા થાય છે. એટલે કે, બજારમાં વાસ્તવિક એક ઔંસ ચાંદી સામે ઘણી વખત અનેક ‘પેપર ક્લેમ’ ફરતા હોય છે. આ માળખું બજારને અત્યંત સંવેદનશીલ બનાવે છે. તેથી સ્થિતિ એવી સર્જાય છે કે જો મોટી સંખ્યામાં ટ્રેડર્સ એકસાથે ખરીદી કે વેચાણ કરે તો ભાવોમાં અત્યંત ઝડપી અને મોટો ફેરફાર આવી શકે છે. વાસ્તવિક સપ્લાયમાં મોટો ફેરફાર ન થયો હોય તો પણ આવા ફેરફાર થઈ શકે છે.
માર્જિન કૉલ્સ અને ફોર્સ્ડ લિક્વિડેશનની અસર
ક્રેશના તાત્કાલિક કારણોમાં સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ માર્જિન જરૂરિયાતમાં વધારો હતો. જ્યારે એક્સચેન્જો માર્જિન વધારે છે, ત્યારે લિવરેજથી ટ્રેડિંગ કરનારાને વધારાની રોકડ જમા કરાવવી પડે છે. ઘણાં ટ્રેડર્સ પાસે તે માટે પૂરતી મૂડી નહોતી, તેથી તેમને પોતાની પોઝિશન ક-મને બંધ કરવી પડી. આ ‘ફોર્સ્ડ લિક્વિડેશન’ને પરિણામે વેચાણની ચેઇન રિએક્શન ઊભી થઈ અને ભાવ ઝડપથી તૂટી ગયા.
વૈશ્વિક બજારમાં જોવા મળેલો વિરોધાભાસ
આ ક્રેશ વખતે એક મહત્ત્વપૂર્ણ ઘટના નોંધાઈ. અમેરિકા અને પશ્ચિમી પેપર માર્કેટમાં ભાવ તૂટી રહ્યા હતા ત્યારે ચીનના શાંઘાઈ માર્કેટમાં ફિઝિકલ ચાંદી ઊંચા ભાવે ટ્રેડ થતી રહી. આ પરથી સ્પષ્ટ થાય છે કે, ભાવમાં ઘટાડો માંગ ઘટવાના કારણે નહોતો, પરંતુ પેપર માર્કેટમાં લેવરેજ અને લિક્વિડેશનના દબાણથી આવ્યો હતો. ચાંદીની ભૌતિક માંગ તો વધી જ રહી હતી.
શંકાની સોય ફરીથી જેપી મોર્ગન તરફ?
ચાંદીના ક્રેશ પછી બજારમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે, શું આમાં મોટી બુલિયન બેંકોનો હાથ છે? અમેરિકાની સૌથી મોટી બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસ આપતી સંસ્થા જેપી મોર્ગન અને તેના કેટલાક ટ્રેડરો પર 2008-2016 દરમિયાન ‘સ્પૂફિંગ’ (ખોટી ઓર્ડર મૂકી ભાવને અસર કરવી) દ્વારા ગોલ્ડ-સિલ્વર ફ્યુચર્સ માર્કેટમાં હેરાફેરીનો આરોપ સાબિત થયો હતો. આ વાતનો તેમણે 2020માં સ્વીકાર પણ કર્યો હતો અને લગભગ $920 મિલિયનનો દંડ પણ ચૂકવ્યો હતો. એ ઘટનામાં કેટલાક ટ્રેડરોને જેલની સજા પણ થઈ હતી.
આ કારણે ચાંદીના ભાવમાં અસામાન્ય હલચલ થાય છે ત્યારે લોકો ફરીથી જેપી મોર્ગન વિશે શંકા વ્યક્ત કરે છે. તાજેતરના ક્રેશ પછી કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે મોટી સંસ્થાઓએ શોર્ટ પોઝિશન લઈને ઘટાડામાં નફો કમાવ્યો હોઈ શકે છે. જેપી મોર્ગન વિરુદ્ધ દાવો છે કે, એણે 120 ડૉલરની આસપાસ શોર્ટ પોઝિશન ઓપન કરી હતી અને 78 ડૉલરની આસપાસ તે ક્લોઝ કરીને જંગી નફો બુક કર્યો છે. જોકે આ બાબતનું સત્તાવાર પ્રમાણ હજી ઉપલબ્ધ નથી, બજારના માળખાને કારણે આ આરોપો વારંવાર ઊભા થાય છે.

ચાંદીના ભાવ આટલા બધા કેમ વધ્યા?
ક્રેશ પહેલા ચાંદીમાં અભૂતપૂર્વ તેજી આવી હતી, જેના માટે નીચે મુજબના કારણો જવાબદાર હતા.
– ઔદ્યોગિક માંગમાં વિસ્ફોટ: સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો (EV), 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર અને AI ડેટા સેન્ટર્સમાં ચાંદીનો ઉપયોગ વધ્યો.
– સપ્લાય મર્યાદિત: ચાંદીનું ઉત્પાદન ઘણીવાર અન્ય ધાતુઓના ખાણકામનો સાઇડ-પ્રોડક્ટ હોવાથી સપ્લાય ઝડપથી વધારી શકાતી નથી.
– લાંબા સમયથી ચાલતી સપ્લાય ખાધ: ચાંદીના ઉત્પાદન કરતાં વૈશ્વિક માંગ કાયમ વધારે રહેતી હોવાથી ભાવ સતત ઉપર ગયા.
આ પરિબળોએ ચાંદીના ભાવને ઝડપથી ટોચ સુધી પહોંચાડ્યા અને બજારમાં ભારે સટ્ટાકીય ખરીદી જોવા મળી.
ચાંદીના ભાવમાં અસ્થિરતા ચાલુ રહેશે?
ચાંદી માત્ર રોકાણ માટેની ધાતુ નથી; તે આધુનિક ટેક્નોલોજી અને ઊર્જા પરિવર્તન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેથી ઘણાં વિશ્લેષકો માને છે કે ચાંદીના ભાવમાં ટૂંકા ગાળા માટે અસ્થિરતા ચાલુ રહી શકે છે, પરંતુ લાંબા ગાળે ઔદ્યોગિક માંગ વધશે, જેને લીધે ચાંદીના ભાવ ઊંચા રહેવાની સંભાવના છે.
કેટલાક નિષ્ણાતો કહે છે કે આને ‘ટેકનિકલ કરેક્શન’ (ભાવનો સામાન્ય સુધારો) ગણાવે છે, જ્યારે કેટલાક લોકો માને છે કે બજારની વ્યવસ્થા વધુ પારદર્શક બનવાની જરૂર છે, કેમ કે આવી અસ્થિરતા સપ્લાય ચેઇન અને ઉત્પાદન ખર્ચને અસર કરી શકે છે.
રોકાણકારો માટે બોધપાઠ
આ ઘટના બતાવે છે કે લિવરેજ આધારિત ટ્રેડિંગ જોખમી છે, કેમ કે બજારોમાં અચાનક મોટો ઘટાડો આવી શકે છે. મજબૂત બેલેન્સશીટ ધરાવતા મોટા ખેલાડીઓ આ અસ્થિરતામાં લાભ મેળવી શકે છે, જ્યારે નાના ટ્રેડર્સને સૌથી વધુ નુકસાન થાય છે. તેથી રોકાણ કરતી વખતે જોખમ વ્યવસ્થાપન અને લિવરેજ પર નિયંત્રણ ખૂબ જરૂરી છે.










