![]()
Rare Predator Convergence in Ranthambore: હાલમાં જ રાજસ્થાનના રણથંભોરમાં એક અજબનું દૃશ્ય જોવા મળ્યું છે. એપ્રિલ મહિનામાં રણથંભોર ટાઇગર રિઝર્વના ઝોન 9માં એક વાઘ, એક દીપડો અને એક ચિત્તો માત્ર એક-બે કિલોમીટરના અંતરે જોવા મળ્યા. ચિત્તો તો મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી રણથંભોર આવી પહોંચ્યો હતો. સામાન્ય રીતે આ ત્રણેય ખતરનાક શિકારી એક સાથે જોવા મળે એ દુર્લભ ગણાય. નિષ્ણાતો કહે છે કે ભારતના જંગલોમાં આપણે વિચારીએ છીએ તેના કરતાં આવું ‘ઓવરલેપ’ વધારે સામાન્ય છે. ચાલો જાણીએ આ શિકારી જીવો એકબીજાની સાથે કેવી રીતે રહે છે.
જગ્યાની વહેંચણીની રમત એટલી અઘરી નથી
પ્રચલિત માન્યતા એવી છે કે મોટા જંગલી શિકારીઓનો ચોક્કસ વિસ્તાર હોય છે, જેમાં બીજા શિકારી ઘૂસતા નથી. જો કે, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સંશોધક સુપ્રતિમ દત્તાનું કહેવું અલગ છે. ‘મોટા શિકારી પ્રાણીઓ વચ્ચે જગ્યાની વહેંચણી આપણે ધારીએ છીએ એટલી મુશ્કેલ નથી હોતી, તે ઘણી સામાન્ય બાબત છે. માત્ર રણથંભોર જ નહીં, પણ કાન્હા નેશનલ પાર્ક, તાડોબા ટાઇગર રિઝર્વ અને બાંદીપોર નેશનલ પાર્કમાં પણ વાઘ, દીપડા અને ઢોલ (વન્ય કૂતરા) એક જ વિસ્તારમાં જોવા મળે છે. મધ્ય અને પશ્ચિમ ભારતના જંગલોમાં વરુ અને ઝરખ એક જ વિસ્તારમાં રહેતા હોય છે. ગીરમાં પણ સિંહ અને દીપડા સહ અસ્તિત્વ ધરાવે છે.’
આ શિકારીઓ વચ્ચે ઝઘડો ઓછો થાય એ માટે તેઓ પોતાની આદતો બદલે છે. સુપ્રતિમ દત્તા જણાવે છે કે, ‘તેઓ જગ્યાનો ઉપયોગ અલગ રીતે કરે છે. તેઓ શું ખાય છે, ક્યાં ફરે છે અને ક્યારે સક્રિય હોય છે તેમાં તફાવત હોય છે.’
શિકારની વહેંચણી અને સમયનો મેળઃ ટક્કર કેવી રીતે ટળે?
આ ત્રણેય શિકારી વચ્ચે સીધો સંઘર્ષ ન થાય એ માટે તેઓ વચ્ચે નીચે મુજબની વહેંચણી થાય છે:
1. શિકાર (ખોરાક): વાઘ સામાન્ય રીતે સાંભર (Sambar) અને ચીતલ (Chital) જેવા મોટા પ્રાણીઓનો શિકાર કરે છે. જ્યારે દીપડા નાના પ્રાણીઓને પકડે છે.
2. રહેણાક વિસ્તાર: દીપડા સામાન્ય રીતે ગાઢ જંગલ અને ખડકાળ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે વાઘ ખુલ્લા મેદાનોમાં વધુ જોવા મળે છે.
3. સમય (સક્રિયતા): દીપડાના મોટા ભાગે વાઘના શિકાર કરવાના સમય કરતાં પોતાનો શિકારનો સમય જુદો રાખે છે. જંગલમાં મૂકેલા કેમેરાઓમાં ઝીલાયેલા વાઘની હાજરીના 2,000 પ્રસંગોમાંથી માત્ર ત્રણથી ચાર વખત જ એવું બન્યું હતું કે વાઘ દેખાયાના એક કલાકની અંદર દીપડો પણ દેખાયો હોય. બાકી તો દીપડો વાઘના શિકારના સમય કરતાં ચોક્કસ અંતર જાળવીને જ બહાર નીકળતો હોય છે.
શિકારીઓ વચ્ચે તણાવ ક્યારે વધે?
આ સરસ સંતુલન ત્યાં સુધી જ ટકે છે જ્યાં સુધી પાણી, ખોરાક અને જગ્યા પૂરતી હોય.
1. સૂકી ઋતુમાં ઝઘડા: ઉનાળામાં પાણી સૂકાવા લાગે છે, ત્યારે તમામ પ્રાણીઓ બચેલા થોડા પાણીના સ્ત્રોત પાસે ભેગા થાય છે. આ સમયે વાઘ, દીપડા અને ચિત્તા સામસામે આવી જાય છે, જેના કારણે સંઘર્ષ વધે છે.
2. જગ્યાની તંગી (ઓવરક્રાઉડેડ): સંરક્ષિત વિસ્તારો (Protected Areas)માં પ્રાણીઓની સંખ્યા વધી જાય છે અને બહાર જવા માટેના ‘કોરિડોર’ (જંગલના એક વિસ્તારમાંથી બીજામાં જવાનો કુદરતી રસ્તો. જેમ કે નદીકાંઠો, ઘાસનું મેદાન) બંધ થઈ જાય છે, ત્યારે શિકારીઓને એકબીજાની નજીક રહેવાની ફરજ પડે છે. પશ્ચિમ ઘાટ જેવા વિસ્તારોમાં વધુ વિવિધતાને કારણે સંઘર્ષ ઓછો થાય છે, પણ ઘણી જગ્યાએ દીપડા અને વાઘ હવે ગામડાં અને ખેતરોની નજીક જોવા મળે છે, જ્યાં તેઓ પાલતુ પશુઓનો શિકાર કરી શકે. જ્યારે વિસ્તાર સંકોચાય છે, ત્યારે આ ઓવરલેપ કાયમી બની જાય છે.
રણથંભોરનો કિસ્સો ચેતવણીરૂપ છે
રણથંભોરમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે જોવા મળ્યા તે કદાચ સંકેત છે કે જંગલોમાં જગ્યા ખૂટવા લાગી છે. મધ્ય પ્રદેશના કુનોથી ભટકીને આવેલો ચિત્તો દર્શાવે છે કે, જંગલ કોરિડોર તૂટી જાય છે અને પ્રાણીઓ પાસે ફેલાવા માટે જગ્યા નથી હોતી, ત્યારે આવા આકસ્મિક મેળાપ થઈ જાય છે.










