![]()
વડોદરાઃ વડોદરાના જીએસટી વિભાગના એડિશનલ કમિશનરના મકાનમાંથી ૧૮ તોલાના દાગીનાની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ન્યુ અલકાપુરીમાં યુટોપિયન કોર્નર ખાતે ભાડાના મકાનમાં રહેતા મૂળ યુપીના વતની અરૃણકુમાર સુરેશરામના પત્ની કનુપ્રિયાએ પોલીસને કહ્યું છે કે,નવેમ્બર-૨૦૨૪થી અમે આ મકાનમાં ભાડેથી રહીએ છીએ અને તિજોરીના લોકરમાં દાગીના મૂકીએ છીએ.
દરમિયાનમાં અમારે ૨૦ દિવસ માટે વતનમાં જવાનું થયું હતું અને અહીં બાથરૃમનું રિનોવેશન કરાવાનું હોવાથી મારા પતિના ડ્રાઇવરને દેખરેખ રાખવા માટે મકાનની ચાવી આપી હતી.ત્યાર બાદ અમે જ્યારે પણ બે-ચાર દિવસ માટે બહાર જઇએ ત્યારે એકબે દાગીના ઓછા થતા હોવાથી મેં મારા પતિને વાત કરી હતી.અત્યાર સુધીમાં અમારા કુલ રૃ.5.40 લાખ ઉપરાંતના ૧૮ તોલા જેટલા સોનાના દાગીના(જેની હાલની બજાર કિંમત અંદાજે 27 લાખ થાય છે) ચોરાઇ ગયા છે.
મહિલાએ કહ્યું છે કે,૧૫ દિવસ પહેલાં અમે સીસીટીવી કેમેરા મૂકાવ્યા હતા. તા.૧૦મીએ અમે આણંદ ગયા ત્યારે સવારે ૧૦ વાગે ડ્રાઇવર ડુપ્લિકેટ ચાવી વડે તાળું ખોલી એક અજાણ્યા શખ્સને લઇ મકાનમાં આવ્યો હતો. જેથી તેના પર અમને શંકા થઇ રહી છે.આ અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










