![]()
Vadodara MS University : વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં પેમેન્ટ સીટમાં વધારો કરતા આજે એન.એસ.યુ.આઈના કાર્યકરોએ ડીનને નકલી નોટો આપી યુનિવર્સિટી કમાણી કરી રહી હોવાના આક્ષેપો કર્યા હતા.
એડમિશન મુદ્દે વિદ્યાર્થીઓની સીટ વધારવા બાબતે એનએસયુઆઈ પ્રમુખના નેજા હેઠળ કાર્યકરો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એનએસયુઆઈ દ્વારા વિવિધ મુદ્દે કરાયેલી રજૂઆત અંગે ફેકલ્ટી ડીન કચેરીએથી સીટ વધારવા બાબતે યોગ્ય કાર્યવાહી જરૂરી હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો ખાતે એડમિશન અંગે વિદ્યાર્થીઓની સીટ વધારવા બાબતે એનએસયુઆઈના પ્રમુખ સહિત કાર્યકરો લો ફેકલ્ટીની ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા સહિત કાર્યકરોએ વિદ્યાર્થીઓની પેમેન્ટ સીટ વધારવા બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી. પરંતુ ડીન કચેરીએથી જણાવ્યું હતું કે, લો ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને વધુ સીટ મળે એ અંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી સૌપ્રથમ મેળવવી પડે છે. આમ કહેતા એનએસયુઆઈ દ્વારા જુદા-જુદા મુદ્દે રજૂઆત કરાઈ હતી. ડીન કચેરી દ્વારા એનએસયુઆઈની થયેલી વિવિધ મુદ્દે રજૂઆત શાંતિથી સાંભળી હતી પરંતુ કેટલાક નિયમો કડક હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ એનએસયુઆઈ દ્વારા બાળકોને રમવાની બોગસ ચલણી નોટો ડીનને આપીને અનોખો વિરોધ કર્યો હતો.










