![]()
રાજપીપળા તા.૨૭ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક અક્તેશ્વર ગામ પાસે નર્મદા નદીના કિનારે આવેલા ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતાં. આ ઘટના બાદ ન્યાય માટે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ નહી કરવા જીદ પકડી આખી રાત ગરુડેશ્વર ખાતે બેસી રહ્યા હતાં. દરમિયાન બપોરે સમાધાન થતા આખરે પીએમ કરવામાં આવ્યું હતું અને પોલીસે પણ એમ ઇન્ફ્રા એજન્સી તેમજ કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ઘટનાના બીજા દિવસે ગરૃડેશ્વર સરકારી દવાખાનામાં નાંદોદ ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો તેમજ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી તથા નિગમના અધિકારીઓ અને એજન્સીએ મૃતકના પરિવારજનો સાથે બેઠક કરી હતી. મૃતકોના પરિવારને પરિવાર દીઠ કોન્ટ્રાક્ટર તરફથી રૃા.૫૦ લાખની સહાય, મૃતકોના પરિવારના બાળકોને ભણતરની જવાબદારી, રાજ્ય સરકાર તરફથી પણ સહાય, સહિત નર્મદા નિગમ તરફથી પરિવારને ૧૮ વર્ષથી વધુ વયના ઉમેદવારને નોકરીની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ આખરે મૃતકોનું પીએમ કરાયું હતું.
જાહેર કરાયેલી રૃા.૫૦ લાખની સહાય પૈકી રૃા.૨૦ લાખ આજે જ મળી જશે અને બાકીની રકમ દસ દિવસમાં ચૂકવવાની લેખિત ખાતરી પણ મેળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઇ સાંજે દુર્ઘટના બાદ ત્રણેના મૃતદેહોને ગરુડેશ્વર ખાતે પીએમ માટે લવાયા ત્યારે આખો દિવસ સુધી હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.










