VB-G RAM G Bill: કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના બદલે અમલમાં લવાયેલા ‘વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ (VB-GRAM G) બિલ’ને લીધે રાજકીય વાતાવરણ ગરમાયું છે. સંસદની ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસ સાંસદ સપ્તગિરી શંકર ઉલાકાએ 29 ડિસેમ્બરના રોજ એક ખાસ બેઠકનું આયોજન કર્યું છે. આ મીટિંગનો મુખ્ય હેતુ નવા ‘VB-GRAM G’ બિલની ઝીણવટભરી ચર્ચા કરવાનો અને તેની સરખામણી યુપીએ શાસનકાળની મનરેગા યોજના સાથે કરવાનો છે. આ નિર્ણયને કારણે સત્તાધારી એનડીએ ગઠબંધનના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મુદ્દો હવે મોટી રાજકીય લડાઈનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બેઠક યોજવા સામે ભાજપનો વાંધો
સમિતિની આ બેઠકમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા નવા બિલ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે, જેની મનરેગા સાથે તુલના પણ કરવામાં આવશે. જોકે, ભાજપના સાંસદો આ બેઠક સામે કાયદાકીય વાંધો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું હોવા છતાં, હજુ રાષ્ટ્રપતિની આખરી મહોર લાગવાની બાકી છે. જ્યાં સુધી ગેઝેટમાં તેની સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી તેને પૂર્ણ કાયદો માની શકાય નહીં, તેથી આ તબક્કે તેની ચર્ચા અયોગ્ય છે.
બેઠકના આયોજન સામે ભાજપનો વિરોધ શા માટે?
મીડિયા રિપોર્ટ અનુસાર, સમિતિના સભ્ય અને ભાજપ સાંસદ વિવેક ઠાકુરે આ પગલાને ‘અપરિપક્વ’ ગણાવતા કહ્યું કે આ નિર્ણય તર્ક વગરનો છે. ભાજપના અન્ય નેતાઓએ પણ દલીલ કરી છે કે સંસદ દ્વારા તાજેતરમાં જ પસાર કરાયેલા કોઈ બિલ પર આ રીતે સમિતિ ચર્ચા કરી શકે નહીં. સમિતિનું મુખ્ય કામ માત્ર કાયદાના અમલીકરણની સમીક્ષા કરવાનું અને જરૂરી સૂચનો આપવાનું હોય છે, નહીં કે પસાર થઈ ચૂકેલા બિલ પર રાજકીય વિશ્લેષણ કરવાનું.
યોજનાના નામમાંથી ‘મહાત્મા ગાંધી’નું નામ દૂર કરતા વિવાદ
NDAના સભ્યો એવો આક્ષેપ કરી રહ્યા છે કે નવા બિલની તુલના યુપીએ સરકારની મનરેગા યોજના સાથે કરીને આ આખા વિષયને જાણીજોઈને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. શાસક પક્ષનું માનવું છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો માત્ર આ નવા કાયદાનો વિરોધ કરવાના ઈરાદે એકજૂથ થયા છે. આ નવો કાયદો હવે એ જૂની યોજનાની જગ્યા લેશે જે અગાઉ મહાત્મા ગાંધીના નામથી ઓળખાતી હતી, પરંતુ હવે નવી યોજનાના નામમાંથી ગાંધીજીનું નામ દૂર કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે
સંસદમાં ચર્ચા દરમિયાન શું માંગ કરવામાં આવી હતી?
લોકસભામાં બિલ પરની ચર્ચા દરમિયાન સાંસદ ઉલાકાએ તેને સંસદીય સમિતિને સોંપવાની માંગ કરી હતી, જે સરકારે નકારી દીધી હતી. હવે તેમણે આ માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે, જ્યારે એનડીએ સભ્યો સમિતિ પર અધ્યક્ષના વિશેષ અધિકારોનો ઉપયોગ કરી વિરોધ કરવાની તૈયારીમાં છે. અગાઉ પણ આ સમિતિનો એજન્ડા વિવાદોમાં રહ્યો છે; જુલાઈમાં મેધા પાટકર અને પ્રકાશ રાજને બેઠકમાં બોલાવવા સામે ભાજપના સાંસદોએ ‘વિકાસ વિરોધી’ ગણાવી વોકઆઉટ કર્યો હતો, જેના કારણે કાર્યવાહી અધવચ્ચે જ અટકી પડી હતી.
શું છે VB-GRAM G બિલ?
નવો VB-GRAM G કાયદો મનરેગાની જેમ ગ્રામીણ રોજગારીની ખાતરી આપે છે, પરંતુ તેમાં કેટલાક પાયાના ફેરફારો છે. આ યોજના હેઠળ હવે 100ને બદલે 125 દિવસની રોજગારી મળશે, જેનો લાભ બિનકુશળ શારીરિક શ્રમ કરવા ઈચ્છતા પરિવારોને મળશે. આ કાયદાનો મુખ્ય લક્ષ્ય રોજગારની સાથે ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે. જોકે, આ બિલને લઈને સમિતિની બેઠકે સંસદમાં ફરી રાજકીય ઘર્ષણ વધારી દીધું છે.











