Amreli News : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કપાસ, મગફળ સહિતનો પાક નાશ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેમાં અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે માવઠું થતાં ખેડૂતો પાયમાલ થયા છે. તેવામાં જાફરાબાદ દરિયાઈ પંથકમાં આવેલા મોટા માણસા ગામે ખેડૂતના 16 વીઘામાં વાવેલી મગફળીમાં સંપૂર્ણપણે નુકસાન થયું છે.
જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્યા
જાફરાબાદના મોટા માણસાના ખેડૂતની 16 વીઘાની મગફળીનો પાક ફેલ જતાં પાથરા સળગાવ્યા હતા. આ સાથે ડુંગળીના પાકમાં પશુઓને ચરિયાણ માટે ખૂલ્લું મૂક્યું હતું. મગફળી અને ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જેમાં દેવું કરીને પકવેલા ખેતીપાક નષ્ટ થતાં ખેડૂતોએ ના છૂટકે મગફળી સળગાવી પડી હતી.

આ પણ વાંચો: ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન
આ ઉપરાંત, ખાંભાના નાની ધારીમાં અનેક ખેડૂતોના મગફળી સહિતના પાકને ભારે નુકસાની થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે, માવઠાના કારણે નિષ્ફળ ગયેલા પાકને અંતે સળગાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી. જ્યારે નાની ધારીમાં મગફળી પર ટ્રેક્ટર ફેરવી દેવાયું છે. બીજી તરફ, સાવરકુંડલાના આંબરડીમાં ખેડૂતે મગફળીના પાથરા સળગાવ્યા છે. ખેડૂતો માગ કરી રહ્યા છે કે, સરકાર ખેડૂતોના દેવા માફ કરે.











