![]()
Ahmedabad News : અમદાવાદના રામોલમાં સ્કૂલે લેવા મુકવા જતા રિક્ષાચાલક દ્વારા બાળકો સાથે વિકૃત હરકત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 55 વર્ષીય રીક્ષાચાલક ચોકલેટ અને અન્ય લાલચ આપીને શારીરિક અડપલા કરાવતો હોવાની ઘટના અંગે માસૂમોએ માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે આરોપી રિક્ષાચાલક રાજકુમાર રાજપૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિક્ષાચાલક બાળકોને ચોકલેટની લાલચ આપીને શારીરિક અડપલા કરતો
પોલીસે જણાવ્યા મુજબ, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનામાં પોલીસે રિક્ષાચાલક રાજકુમાર રાજપૂતની ધરપકડ કરી છે, જે છેલ્લા 22 વર્ષથી સ્કૂલોની વર્ધીનું કામ કરતો હતો અને હાલમાં વસ્ત્રાલની બે અલગ-અલગ સ્કૂલોના બાળકોને લેવા-મુકવા જતો હતો. આ વ્યવસ્થા વાલીઓએ ખાનગી ધોરણે રાખી હતી.
પોલીસે જણાવી ચોંકાવનારી વાત
પોલીસે વધુમાં જણાવ્યું કે, આ શખસ રિક્ષાના હેન્ડલ ઉપર સુતરાવ કાપડનો થેલી બાંધીને તેમાં ચોકલેટ અને બોલ રાખતો હતો. રિક્ષાચાલક બાળકોને આગળ બેસાડીને ગેમ રમવાની લાલચ આપતો કે “જે વધારે ચોકલેટ કાઢશે તેને ઇનામ આપવામાં આવશે.” આ રમતની આડમાં તે બાળકો પાસે શારીરિક અડપલા કરાવતો હતો. ભોગ બનનાર તમામ બાળકો સગીર વયના છે, જેમની ઉંમર 12 વર્ષથી નીચેની છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીએ દીકરીઓ-દીકરાઓ સાથે વિકૃત કૃત્ય કર્યું હતું.
આ પણ વાંચો: પંજાબથી હત્યા કરીને ગુજરાતના મેઘપરમાં રહેતો વોન્ટેડ ઝડપાયો, ગુજરાત ATS અને જામનગર SOGની સંયુક્ત કાર્યવાહી
પોલીસે વધુમાં જણાવ્યું કે, આ કૃત્ય અંગે ભોગ બનનાર કેટલીક સગીર વયની બાળકીઓ એકબીજા સાથે આ વિશે વાત કરી રહી હતી. આ પછી માતા-પિતાએ એકબીજા સાથે ચર્ચા કરી અને રિક્ષાચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. હાલમાં જે ફરિયાદી અને ભોગ બનનાર છે, તેઓ છેલ્લા ચાર મહિનાથી આ રિક્ષામાં આવન-જાવન કરતા હતા. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પાંચેક સગીર વયના બાળકોના નિવેદનો લીધા છે. એક રિક્ષામાં 10 થી 14 બાળકોને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.










