![]()
Ahmedabad News: શહેરના એસ.પી. રિંગ રોડ પર આવેલા વકીલ સાહેબ બ્રિજ પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. ઈસ્કોન તરફથી આવીને સાઉથ બોપલ જવા માંગતા વાહનચાલકો અંદાજે 2 કિલોમીટરનો ફેરો ટાળવા માટે જોખમી રીતે રોંગ સાઈડમાં વાહનો હંકારી રહ્યા છે. આ શોર્ટ કટ માત્ર ટ્રાફિક જામ જ નહીં, પરંતુ જીવલેણ અકસ્માતોને પણ નિમંત્રણ આપી રહ્યો છે.
શું છે મુખ્ય સમસ્યા?
VIP ક્રોસ રોડથી વકીલ સાહેબ બ્રિજ વચ્ચે કોઈ કટ ન હોવાથી લોકોએ લાંબો ફેરો લેવો પડે છે. લોકો 2 કિમી ફરવાને બદલે બ્રિજ નીચેથી 100 મીટર રોંગ સાઈડમાં જવાનું પસંદ કરે છે. રોડ પર આવેલી હોસ્પિટલના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે, જ્યારે કન્સ્ટ્રક્શન સાઈટના ભારે વાહનોને કારણે અકસ્માતનો ડર સતત રહે છે.
આ પણ વાંચો : વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો
ટ્રાફિક પોલીસનું શું કહેવું છે?
અમદાવાદ ટ્રાફિક વિભાગનાં M ડિવિઝન અંતર્ગત આ વિસ્તાર આવે છે. આ અંગે એમ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટરના જણાવ્યા અનુસાર અકસ્માતો રોકવા માટે બ્રિજ ઉતરતા જ કટ આપવાનો પ્લાન જોખમી હોવાથી રદ કરાયો હતો. તેના બદલે બ્રિજના છેડે ખુલ્લા ભાગમાં વળાંક આપીને યુ-ટર્ન લેવાની વ્યવસ્થા કરાઈ છે. રસ્તો પહોળો કરવામાં આવ્યો છે જેથી બે ટ્રક સામસામે પસાર થઈ શકે અને ટ્રાફિક જામ ઘટે. પીક અવર્સમાં ટ્રાફિક જવાનો વ્યવસ્થા સંભાળે છે.
AUDA નું આયોજન 10 લેનનો રોડ લાવશે કાયમી ઉકેલ
AUDA ના ડેપ્યુટી એન્જિનિયરના જણાવ્યા મુજબ, અત્યારે સર્વિસ રોડ માત્ર ટુ-લેનનો હોવાથી મુશ્કેલી પડી રહી છે. પરંતુ તેનું કાયમી નિરાકરણ ટૂંક સમયમાં આવશે.રિંગ રોડને 6-લેન અને બંને બાજુના સર્વિસ રોડને 4-લેન (કુલ 10 લેન) બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.
સર્વિસલેન બન્યા બાદ સમસ્યા ઉકેલાશે
સર્વિસ રોડ ફોર-લેન થતા જ વચ્ચે મીડિયન (ડિવાઈડર) આવી જશે, જેનાથી આવવા-જવાનો રસ્તો અલગ થશે અને રોંગ સાઈડની સમસ્યા કાયમ માટે હલ થશે. આગામી 6 થી 12 મહિનામાં આ વિસ્તારનું કામ પૂર્ણ થવાની ધારણા છે, જેનાથી બોપલ અને રિંગ રોડના વાહનચાલકોને મોટી રાહત મળશે. તંત્ર દ્વારા કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ વાહનચાલકોએ પણ પોતાની સુરક્ષા માટે રોંગ સાઈડ ડ્રાઈવિંગ ટાળવું જોઈએ. 10 લેનનો રોડ તૈયાર થયા બાદ આ વિસ્તારનો ટ્રાફિક પ્રશ્ન હંમેશા માટે ઉકેલાઈ જશે.







