Ahmedabad | T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપની આગામી દિવસોમાં મેચ રમાવાની છે. જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અનુસાર, મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના કેટલાક માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જનપથ ટીથી મોટેરા ગામ ટી સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે બંધ રહેશે, જેથી મેચ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન આવે.
વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલ–ONGC–વિસત તેમજ શરણ સ્ટેટસ–ભાટ કોટેશ્વર રોડનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે. પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અસુવિધા ટાળવા માટે પૂર્વ આયોજન કરવાની અપીલ કરાઈ છે.

મેચના દિવસો અને સમય
અમદાવાદમાં આગામી દિવસોમાં રમાનારી મહત્ત્વની મેચો દરમિયાન આ નિયમો લાગુ રહેશે:
મેચની તારીખો: 9, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરી (અને જો ફાઈનલ અમદાવાદમાં યોજાય તો 8 માર્ચ, 2026).
ટ્રાફિક પ્રતિબંધનો સમય: બપોરે 3:00 વાગ્યાથી મેચ પૂર્ણ થયા બાદ મધ્યરાત્રિ સુધી.
કયા રસ્તાઓ બંધ રહેશે?
જનપથ ટી-જંકશનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ: આ માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.
કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી મોટેરા ગામ ટી-જંકશન: આ માર્ગ પણ સામાન્ય અવરજવર માટે બંધ રહેશે.
આ પણ વાંચો: બનાસકાંઠાના ગોઢ ગામના ‘ઓનર કિલિંગ’ કેસમાં 9 આરોપીને આજીવન કેદ, ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વૈકલ્પિક રૂટની વિગત
તપોવન સર્કલ તરફથી: ONGC ચાર રસ્તા -> વિસત ટી-જંકશન -> જનપથ ટી-જંકશન -> પાવર હાઉસ ચાર રસ્તા -> પ્રબોધ રાવળ સર્કલ.
કોટેશ્વર/ભાટ તરફથી: કૃપા રેસિડેન્સી ટી-જંકશન -> શરણ સ્ટેટસ ચાર રસ્તા -> ભાટ કોટેશ્વર રોડ -> એપોલો સર્કલ તરફ.
કોને મુક્તિ આપવામાં આવી છે?
મેચ સંબંધિત પરવાનગી ધરાવતા વાહનો, ઇમરજન્સી સેવાઓ તેમજ સ્ટેડિયમ આસપાસના સ્થાનિક રહીશો માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે તેમ જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા મેચ દરમિયાન સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
મેટ્રો ટ્રેન અને વિશેષ વ્યવસ્થા
ક્રિકેટ પ્રેમીઓને સ્ટેડિયમ સુધી પહોંચવામાં અને ઘરે પરત ફરવામાં સરળતા રહે તે માટે GMRC દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે:
સમયમાં વધારો: મેચના દિવસોમાં મેટ્રો સેવાઓ મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધી ચાલુ રહેશે.
સ્પેશિયલ પેપર ટિકિટ: લાંબી લાઈનોથી બચવા માટે ₹50ની ફ્લેટ રેટ ધરાવતી સ્પેશિયલ પેપર ટિકિટ અગાઉથી ખરીદી શકાશે.
રૂટ: મોટેરાથી APMC અને વસ્ત્રાલથી થલતેજ સુધી વધારાની ફેરીઓ દોડાવવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન
નાગરિકો માટે સૂચના
અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ટ્રાફિક જામની સમસ્યા ટાળવા માટે વ્યક્તિગત વાહનોના બદલે મહત્તમ મેટ્રો અથવા BRTS જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.










