![]()
Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી આશરે 2.58 કરોડ રૂપિયાની કિંમતની સોનાની જ્વેલરીની ચોરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરીને એરલાઇન કર્મચારીઓ, જ્વેલર્સ અને અન્ય મળીને કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં આશરે 1.72 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના 18 એપ્રિલની છે. સીક્વલ લોજિસ્ટિક્સ કંપની દ્વારા આશરે 13 કિલો વજનનું કાર્ગોનું એક પાર્સલ (જેમાં 2.58 કરોડ રૂપિયાની કિંમતનું 2.107 કિલો સોનું હતું) અમદાવાદથી બેંગલુરુ મોકલવા માટે અકાસા એરને સોંપવામાં આવ્યું હતું. આ સોનું RBZ જ્વેલર્સ લિમિટેડ દ્વારા ટાઈટન કંપની માટે બનાવવામાં આવ્યું હતું. ચોંકાવનારી બાબત છે કે, આ પાર્સલની સાથે હેન્ડઓવર કરાયેલા અન્ય સાત કન્સાઇનમેન્ટ્સ તો બેંગલુરુ પહોંચી ગયા, પરંતુ સોનાની જ્વેલરીવાળું આ ખાસ પાર્સલ કાર્ગોમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું. સીક્વલ લોજિસ્ટિક્સ કંપનીના અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસે ખોલ્યા રહસ્યો
એરપોર્ટ પોલીસની ટીમોએ આ હાઈ-ટેક ચોરીનો ભેદ ઉકેલવા માટે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો બહોળો ઉપયોગ કર્યો. તપાસમાં એક સુઆયોજિત કાવતરાનો પર્દાફાશ થયો, જેમાં એરલાઇન કર્મચારીઓ અને બહારના લોકો જોડાયેલા હતા.
ચોરીની ફિલ્મી પદ્ધતિ
પોલીસ તપાસમાં જે પદ્ધતિ સામે આવી તે ફિલ્મથી કમ નથી. એરલાઇન કર્મચારીઓએ ચોરી કરેલી સોનાની જ્વેલરીવાળી બેગ એરપોર્ટમાં બોર્ડિંગ કર્યા પછી એક મુસાફરની સામાનમાં મૂકી દીધી હતી. આ મુસાફરને આયોજન મુજબ જ વિમાનની ટિકિટ પૂરી પાડવામાં આવી હતી. આ મુસાફરે બેંગલુરુ એરપોર્ટ પરથી સામાન મેળવ્યો અને ચોરી કરેલું સોનું ફરીથી અમદાવાદ પરત લાવવામાં આવ્યું. અહીં ચોરી કરેલા સોનાને ઓગાળીને અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યું અને જ્વેલર્સોને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
ફેરવીને સોનું તે જ સ્થળે લવાયું
આરોપીઓએ કથિત રીતે એક ગુનાહિત કાવતરું ઘડ્યું હતું જેમાં એરલાઇન કર્મચારીઓએ ફ્લાઇટ બોર્ડિંગ (વિમાનમાં બેઠા) પછી સોનાની જ્વેલરીથી ભરેલી બેગ એક મુસાફરના સામાનમાં મૂકી દીધી હતી. આ બેગ કથિત રીતે બેંગલુરુ એરપોર્ટ પર પરત મેળવવામાં આવી હતી અને બાદમાં અમદાવાદ પાછી લાવવામાં આવી હતી, જ્યાં જ્વેલરીને ઓગાળીને વચેટિયાઓ દ્વારા તેના અલગ-અલગ ભાગો પાડીને વેચી દેવામાં આવી હતી.
આ પણ વાંચો : છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, રૂ. 13.32 કરોડનો દંડ
8 આરોપીઓની થઈ ધરપકડ
સલામ મોહમ્મદ ઉર્ફે સલેમોહમ્મદ અમીન અંસારી: મુસાફર બનીને ચોરીનું સોનું લઈ ગયો.
કાદલિપભાઈ ઉર્ફે બાપુ જયંતીભાઈ પટેલ: ટિકિટની વ્યવસ્થા કરનાર.
રોશનકુમાર પટેલ: અકાસા એરના ક્લીનિંગ ઇન્ચાર્જ.
ઝૈદ હસન અંસારી: અકાસા એરના સિક્યુરિટી ઇન્ચાર્જ.
સુલતાન સામા: ચોરીનો મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ).
રવિકાંત બાગીયા: જૂનાગઢના જ્વેલર, જેણે સોનું ખરીદ્યું.
કિરણ પવાર: મહારાષ્ટ્રના જ્વેલર.
શંકર વાકાસે: મહારાષ્ટ્રના જ્વેલર.
શું રિકવર થયું?
પોલીસે આરોપીઓ પાસેથી આશરે ₹1.72 કરોડની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 69.24 લાખ રોકડા રૂપિયા, સોનાના બાર અને ઓગાળેલા સોનાના ટુકડા (1.02 કરોડ રૂપિયાની કિંમતના), એક સિલ્વર બિસ્કિટ, જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજી પણ હજુ 4 આરોપીઓ ફરાર છે જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં હજુ પણ ચાર આરોપીઓ ફરાર છે, જેમાં એરલાઇન કર્મચારી જયેશ પરમાર અને પૈસાની હેરાફેરી કરનાર રિઝવાન મજીદભાઈ અને ફારૂક સામાનો સમાવેશ થાય છે. યોગેશ પાટીલ નામનો વધુ એક આરોપી પણ વોન્ટેડ છે. પોલીસ હાલમાં આ તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે અને આગળની તપાસ ચાલુ છે.










