Amreli News : અમરેલીમાં સાવરકુંડલાના ઉદ્યોગપતિનો બિલ્ડર પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ સુરેશ પાનસુરીયાનો પુત્ર રવિ પાનસુરીયા ગુમ થયો છે. ગત 31 ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી રવિએ સ્યુસાઈડ નોટ લખી હતી. સમગ્ર મામલે જાણ કરતાં પોલીસે ઉદ્યોગપતિના લાપતા પુત્રની શોધખોળ હાથ ધરી છે.
સાવરકુંડલામાં વ્યાજખોરોના ત્રાસથી ઉદ્યોગપતિનો પુત્ર લાપતા
સાવકુંડલામાં ઉદ્યોગપતિનો પુત્ર રવિ પાનસુરીયા વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયો છે. રવિ લાપતા થયો એ પહેલા એક નોટ લખી હતી. આ સાથે તેણે વ્યાજખોરોના ત્રાસ મામલે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવ્યો હતો. જેમાં સ્યુસાઈડ નોટ અને વીડિયોમાં રવિએ જણાવ્યું હતું કે, ‘ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિતના 16 જેટલાં વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો.’

રવિએ લખેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે, ‘દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11 કરોડ 25 લાખ વ્યાજે લીધા હતા. જેમાં 4 કરોડ 90 લાખની મિલકત અને 3 કરોડ 38 લાખ RTGSથી ચૂકવી દીધા છે. જ્યારે 2 કરોડ 97 લાખ જેવી બાકી રકમ સામે વ્યાજખોરોએ રૂ.15 કરોડની પઠાણી ઉઘરાણી કરી છે.’
આ પણ વાંચો: બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ગત 31 ડિસેમ્બરની રાત્રે ઘરેથી હાથમાં મોબાઈલ લઈને રવિ પાનસુરીયા જતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. બીજી તરફ, પુત્ર ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે લાપતા રવિ શોધખોળ હાથ ધરી છે.











