Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલાં જ જિતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા (હમ)એ ભાજપની સાથે બેઠક ફાળવણી મુદ્દે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે. મીડિયા સાથે વાતચીત કરતાં હમના નેતા રાજેશ પાંડેએ જણાવ્યું કે, અમે અમારી વાત મૂકી છે, વાતચીત ચાલુ રહેશે, પરંતુ અમારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે.
રાજેશ પાંડેએ જણાવ્યું કે, હમ પાર્ટી રાજકીય નિર્ણયોમાં લચીલાપણુ દર્શાવ્યું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, રાજનીતિમાં કોઈ સ્થાયી મિત્ર કે દુશ્મન નથી. વિકલ્પ હંમેશા ખુલ્લા છે, અમે અમારૂ વલણ સ્પષ્ટ કર્યું છે.
માંઝીની પાર્ટીનો શું છે સંકેત?
રાજેશ પાંડેએ આગળ જણાવ્યું કે, તેમની પાર્ટીએ ભાજપના નેતૃત્વ હેઠળ પોતાની માગ અને વિચારધારા જણાવી દીધી છે. બેઠક સકારાત્મક રહી છે. ટૂંકસમયમાં તેના પરિણામ જાણવા મળશે. હમ પાર્ટીએ પોતાની રણનીતિથી સંકેત આપ્યો છે કે, એનડીએ ગઠબંધન સહયોગ અને સહકાર સાથે પોતાનો મજબૂત દેખાવ રજૂ કરવા સજ્જ છે. જો કે, તેમની શરતો ન માનવામાં આવે તો અન્ય વિકલ્પ પણ ખુલ્લા છે.
એનડીએનું લિસ્ટ જાહેર કરવા મુદ્દે અસમંજસ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 મુદ્દે એનડીએમાં બેઠક ફાળવણીની ફોર્મ્યુલા હજી જાહેર થઈ નથી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાના ઉમેદવાર લગભગ ફાઈનલ કરી દીધા છે. આજે શનિવારે સાંજે તે ઉમેદવારોના નામ જાહેર કરવાની હોવાના અહેવાલ છે. પરંતુ તેના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ આજે સવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફત ખળભળાટ મચાવ્યો છે. તેમણે કહ્યું કે, બેઠક મુદ્દે હજી ચર્ચા પૂરી થઈ નથી.











