![]()
1236 પૈકી 1195 દૂધ મંડળીના મતદારોનો સમાવેશ
રદ થયેલી મંડળીઓ કોંગ્રેસ સમર્થિત હોવાની ચર્ચા આખરી મતદાર યાદી બાદ ચૂંટણી જાહેર થશે
આણંદ: આણંદની અમૂલ ડેરીની ચૂંટણી નજીક આવતા સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવી રહ્યો છે. અમૂલ સંઘની તા.૩૦મી જૂલાઇએ જાહેર થયેલી મતદાર યાદીમાં આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની ૪૧ દૂધ મંડળીના ચેરમેનના મત રદ કરાયાનું જાણવા મળ્યું છે. આ મંડળીઓ મોટાભાગે કોંગ્રેસ સમર્થિત હોવાનું મનાઇ રહ્યું છે. જાહેર થયેલી મંડળીઓમાં ૧૨૩૬ પૈકી ૧૧૯૫ મતદારોનો સમાવેશ થયો છે.આગામી દિવસોમાં આખરી મતદારયાદી જાહેર થશે.
અમૂલ ડેરીની સત્તા હસ્તગત કરવા માટે સત્તાધારી ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. અમૂલની સહકારી કલ ૮૫ હેઠળ ૨૫ મંડળી, કલમ ૮૬, ૯૩ અને ૪૦૮ હેઠળ ૧૫થી ૨૦ મંડળીઓ મળીક ુલ ૪૧ મંડળીઓના ચેરમેનોનું પત્તુ કાપી નાખીને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે.
સહકારી ક્ષેત્રની કલમ ૮૫માં વર્ષો અગાઉ જૂની નોટિસો થઇ હોય તો તે નોટિસોને કલમ ૮૫ ખુલાસો માંગવામાં આવે છે અને દોષિત હોય તો પાંચ હજારનો દંડની જોગવાઇ છે. પરંતુ મત રદ કરવાની જોગવાઇ કલમ ૮૫માં રાખવામાં આવી નથી. અમૂલમાં મતદાર યાદી સામે વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે. તા. ૬ ઓગસ્ટ સુધી વાંધા અરજીઓ કરી શકાશે. આ વાંધા અરજીની ૮મી ઓગસ્ટના રોજ સુનાવણી થશે. બાદમાં ૧૨ ઓગસ્ટના રોજ આખરી મતદાર યાદી બહાર પાડવામાં આવશે. બાદમાં ચૂંટણી જાહેર થશે.
– કમલમના ઇશારે મતદારોના હક પર તરાપ મારવાનો વિરોધ કરાશે : અડાસ મંડળીના ચેરમેન
આણંદ જિલ્લાના અડાસ દૂધ મંડળીના ચેરમેન પિયુષસિંહ રાજે જણાવ્યું હતું કે, હાલ અમૂલમાં ચૂંટણી જીતવા માટે ભાજપ પાર્ટીના નેતાઓને ઇશારે સહકારી સંઘને લૂંટવામાં આવી રહ્યો છે. કમલમના ઇશારે અમૂલમાંથી કમલમને હપ્તા પહોંચાડવામાં આવી રહ્યા છે.મલાઈ ખાવા મતદારોના હક ઉપર તરાપ મારવામાં આવી રહી છે. જેનો વિરોધ કરવામાં આવશે.
– કલમ ૮૫, ૯૩, ૪૦૮ હેઠળ ૧૫થી૨૦ મંડળીમાં મત રદ કરવાનો કારસો
સરકારી ક્ષેત્રની કલમ ૮૫ માં મંડળીના ચેરમેનનો ફોજદારી ગુનો કે ગેરરીતિ હોય અથવા કલમ ૯૩ માં મંડળના પગાર સંદર્ભે કોઈ મામલો હોય અને કલમ ૪૦૮ હેઠળ મંડળીમાં કોઈ ઉચાપત થઈ હોય તેવા નિયમોનો સહારો લઈને વર્ષો જુના કેસ અને જૂની ફરિયાદોને આધાર ગણીને ૧૫થી ૨૦ જેટલી મંડળીઓના ચેરમેનોના મત રદ કરવાનો કારસો રચાયો છે.
– આણંદ જિલ્લાના 19 મંડળીઓ કલમ 85 હેઠળ મૂકાઇ
આણંદ જિલ્લાના આણંદ બ્લોકના આણંદ અને ઉમેરેઠની ૧૦, પેટલાદ સોજીત્રા બ્લોકની પાંચ, બોરસદ અને આકલાવની ચાર મળીને કુલ ૧૯ મંડળીને કલમ ૮૫ હેઠળ અગાઉ મૂકવામાં આવી છે. અને મતો રદ કરાયા હતા.










