![]()
બંનેને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું
શ્રી સોસાયટીમાં કૂતરાને ખાવાનું નાખવા મુદ્દે બોલાચાલી બાદ ટોળાએ તોડફોડ કરી ભય ફેલાવ્યો હતો
આણંદ: આણંદ પાસેના બાકરોલની બેકલેન્ડ બેકરી નજીક શ્રી સોસાયટીમાં થયેલી મારા મારીના બનાવમાં નાસતા ફરતા વધુ બે શખ્સોને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા. આજે બંને શખ્સોને સાથે રાખી પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.
બાકરોલની બેકલેન્ડ બેકરી પાસે આવેલી શ્રી સોસાયટીમાં કૂતરાને ખાવા નાખવા બાબતે બે પરિવારો વચ્ચે બે મહિના પૂર્વે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બહારથી લાકડીઓ તથા પાઇપો લઈને આવેલા ટોળાએ આતંક મચાવી વાહનોની તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. આ ગુનામાં કપિલ ભરતસિંહ સોલંકી રહે. શિવ શક્તિ ફ્લેટ, નાના બજાર , વિદ્યાનગર અને નીલ રાજેશભાઈ પટેલ રહે. પાર્થ બંગ્લોઝ, મોટા બજાર, વિદ્યાનગરના નામો પણ ખુલ્યા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી રહી હતી. બંને શખ્સો નડિયાદ ખાતે કપિલ સોલંકીના પિતાના ઘરે આવનાર હોવાની માહિતી આણંદ એલસીબી પોલીસને મળતા પોલીસે નડિયાદ ખાતેથી બંનેને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેને વિદ્યાનગર પોલીસના હવાલે કર્યા હતા અને આજે બંનેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.










