![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં ૧૭ જેટલા હંગામી અધ્યાપકોને નોકરી પર હાજર થવાનું કહ્યા બાદ પણ બે મહિનાથી ઓર્ડર અને પગાર નહીં અપાતો હોવાની વિગતો સપાટી પર આવી છે.
એક તરફ કાયમી અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટનો લાભ આપીને સત્તાધીશોએ રાજી કરી દીધા છે તો બીજી તરફ હંગામી અધ્યાપકોનું યુનિવર્સિટીમાં શોષણ યથાવત છે.મળતી વિગતો પ્રમાણે આ વર્ષે સત્તાધીશોએ હંગામી અધ્યાપકોની ભરતીમાં પણ અનામત પ્રથાનો અમલ કર્યો છે.
જોકે ઉપરોક્ત ત્રણ ફેકલ્ટીમાં કેટલીક જગ્યાઓ એવી હતી જ્યાં અનામત કેટેગરીમાં લાયક ઉમેદવારો નહીંં મળતા યુનિવર્સિટી દ્વારા ઓપન કેટેગરીમાંથી ભરતી કરવામાં આવી હતી.આવા ૧૭ હંગામી અધ્યાપકોને ફરજ બજાવવા માટે મૌખિક આદેશ અપાઈ ગયો છે પરંતુ વાઈસ ચાન્સેલર અને અધિકારીઓ વચ્ચેની ખેંચતાણમાં આ અધ્યાપકોને બે મહિનાથી ઓર્ડર અપાયો નથી.જેના કારણે તેમને પગાર પણ મળી રહ્યો નથી.જેને લઈને હંગામી અધ્યાપકોમાં નારાજગી જોવા મળી રહી છે.સત્તાધીશોના આ પ્રકારના વલણથી કંટાળીને કેટલાક અધ્યાપકોએ નોકરી પણ છોડી દીધી છે.










