![]()
Air India Plane: કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છેલ્લા 13 વર્ષથી ‘લાવારિસ’ હાલતમાં પડેલું એર ઇન્ડિયાનું બોઇંગ 737-200 વિમાન હવે તેની અંતિમ યાત્રા પર રવાના થયું છે. જોકે, આ વિમાન આકાશને બદલે રોડ માર્ગે 1900 કિલોમીટરનું અંતર કાપીને બેંગલુરુ પહોંચશે.
ડોક્યુમેન્ટ્સમાંથી ગુમ થઈ ગયું હતું વિમાન
આશ્ચર્યજનક વાત એ છે કે આ 43 વર્ષ જૂનું વિમાન એરપોર્ટ પર લાંબા સમયથી પાર્ક હતું અને તેને કોઈ ઓળખતું નહોતું. એર ઇન્ડિયાએ બાકીના નવ બિનઉપયોગી વિમાનોને એન્જિન વિના નિકાલ કર્યા હતા, પરંતુ આ બોઇંગ 737-200ને હેંગરમાં રાખીને ભૂલી ગયું હતું અને તે કંપનીના ડોક્યુમેન્ટમાંથી પણ ગુમ થઈ ગયું હતું. 13 વર્ષ પછી એર ઇન્ડિયાને ખ્યાલ આવ્યો કે આ વિમાન હજુ પણ એરપોર્ટ પર પાર્ક કરેલું છે.
આ પણ વાંચો: દુબઈમાં તેજસ ક્રેશ થવાને કારણે ભારતને નુકસાન? આર્મેનિયાએ 10 હજાર કરોડની ડીલ અટકાવી!
1900 કિમીની રોડ જર્ની
અહેવાલો અનુસાર, હવે એર ઇન્ડિયાને આ જૂના વિમાનની જરૂર ન હોવાથી, તેને 14 નવેમ્બરના રોજ કોલકાતાથી બેંગલુરુ મોકલવામાં આવ્યું છે. આ વિમાનને તેના પાર્ટ્સ છૂટા કરીને રોડ માર્ગે ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે, જે લગભગ 1900 કિલોમીટરની મુસાફરી કરશે. બેંગલુરુ પહોંચ્યા પછી, આ 43 વર્ષ જૂના વિમાનનો ઉપયોગ હવે તાલીમ (Training) હેતુ માટે કરવામાં આવશે. આ ઘટના એર ઇન્ડિયાના સંચાલન અને સંપત્તિના ટ્રેકિંગમાં લાંબા સમયથી ચાલી રહેલી બેદરકારી તરફ ઈશારો કરે છે.










