![]()
Eknath Shinde and Fadandvis News: મહારાષ્ટ્રના સત્તાધારી ગઠબંધનમાં પડેલી તિરાડો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. હિન્દુત્વની વિચારધારા પર દાવો કરનારા બે મુખ્ય સાથી પક્ષો – ભાજપ અને શિવસેના – વચ્ચેનો ખટરાગ હવે બંધ બારણેથી નીકળીને જાહેરસભાઓ સુધી પહોંચી ગયો છે. નેતાઓનો પક્ષપલટો અને અન્ય મુદ્દાઓ પર ચાલી રહેલા મતભેદો વચ્ચે, અત્યાર સુધી શાંત રહેતા દેવેન્દ્ર ફડણવીસે પણ આખરે મૌન તોડીને શિવસેના પર શબ્દબાણ છોડ્યા છે.
આ પણ વાંચોઃ ‘અમે SIR પર રોક નહીં લગાવીએ પણ…’ બિહારનું ઉદાહરણ આપી જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું
વાકયુદ્ધની શરૂઆત: ‘અહંકારી રાવણ’ કોણ?
આ સમગ્ર વિવાદની શરૂઆત પાલઘર જિલ્લામાં નગર પંચાયતની ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન થઈ હતી. ભાજપ દ્વારા શિવસેનાના કેટલાક કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં સામેલ કરાતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ભારે નારાજ હતા. તેમણે ભાજપનું નામ લીધા વિના જ કટાક્ષ કર્યો, “રાવણ પણ અહંકારી હતો અને તેની લંકા પણ બળી ગઈ હતી. તમારે પણ 2 ડિસેમ્બરે (ચૂંટણીના દિવસે) એવું જ કરવાનું છે.” શિંદેનો આ ઈશારો સીધો જ ભાજપ તરફ હતો, જેણે ગઠબંધનમાં આગ ચાંપી દીધી.
ફડણવીસનો વળતો પ્રહાર: ‘લંકા તો અમે જ બાળીશું!’
સામાન્ય રીતે વિવાદિત મુદ્દાઓ પર ટિપ્પણી કરવાથી બચતા દેવેન્દ્ર ફડણવીસે બુધવારે શિંદેના ‘લંકા’ વાળા નિવેદન પર જબરદસ્ત વળતો પ્રહાર કર્યો. તેમણે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું, “જે લોકો અમારા વિશે ગમે તે બોલે છે, તેમની અવગણના કરો. તેઓ કહી શકે છે કે અમારી લંકા બાળશે. પણ અમે લંકામાં નથી રહેતા. અમે ભગવાન રામના અનુયાયી છીએ, રાવણના નહીં!”
આ પણ વાંચોઃ ભારતની મોટી સફળતા, ફ્રાન્સ ફાઈટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર
“અમે ‘જય શ્રી રામ’ બોલનારા લોકો: ફડણવીસ
આટલેથી ન અટકતાં, તેમણે શિંદેના જ દાવને તેમના પર ઉલટાવતા કહ્યું, “અમે ‘જય શ્રી રામ’ બોલનારા લોકો છીએ. અમે તો કાલે જ રામ મંદિર પર ધર્મધ્વજા લહેરાવી છે. અમે ભગવાન રામની પૂજા કરનારી પાર્ટીના લોકો છીએ… લંકા તો અમે જ બાળીશું!” ફડણવીસના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું કે ભાજપ હવે શિવસેનાના દબાણમાં આવવા તૈયાર નથી.
વિવાદનું મૂળ: નેતાઓની ખેંચતાણ અને શાહની દરમિયાનગીરી
આ વાકયુદ્ધ પાછળનું મુખ્ય કારણ ગઠબંધનમાં ભંગાણ છે. ભાજપ દ્વારા શિવસેનાના કોર્પોરેટરોને તોડવામાં આવતા શિવસેનાને ડર છે કે ભાજપ નીચલા સ્તરે તેના સંગઠનને નબળું પાડી રહ્યું છે. આના વિરોધમાં તાજેતરમાં શિવસેનાના મંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા. મામલો એટલો વણસ્યો કે એકનાથ શિંદે દિલ્હી દોડી ગયા અને અમિત શાહ સાથે મુલાકાત કરી. કહેવાતું હતું કે તેમને ભરોસો મળ્યો હતો કે જો શિવસેના ભાજપના નેતાઓને નહીં તોડે તો ભાજપ પણ આવું નહીં કરે, પરંતુ તે સમજૂતી દેખીતી રીતે નિષ્ફળ ગઈ છે. આમ, ભલે નેતાઓ ચૂંટણી પ્રચારમાં આવી વાતોને દિલ પર ન લેવાની સલાહ આપતા હોય, પરંતુ ગઠબંધનની અંદરનો સત્તા સંઘર્ષ અને અવિશ્વાસ હવે છુપાવ્યો છુપાતો નથી.










