Revised ITR: જો તમને આવકવેરા વિભાગ તરફથી ‘રિફંડ હોલ્ડ’ અંગેનો મેસેજ મળ્યો હોય, તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આનો અર્થ એ નથી કે તમે કોઈ ગુનો કર્યો છે. વાસ્તવમાં, વિભાગ તેના ‘નજ'(Nudge) અભિયાન હેઠળ કરદાતાઓને એક પ્રેમભરી યાદ અપાવી રહ્યો છે કે તમે ફાઇલ કરેલા રિટર્ન અને વિભાગ પાસે ઉપલબ્ધ ડેટા વચ્ચે થોડો તફાવત કે વિસંગતતા જોવા મળી છે. કોઈ પણ પ્રકારની કાયદાકીય નોટિસ આપ્યા વગર વિભાગ તમને એક તક પૂરી પાડી રહ્યો છે જેથી તમે જાતે જ તમારી ભૂલો તપાસી શકો અને જો કોઈ સુધારો જરૂરી હોય, તો સુધારેલું રિટર્ન(Revised ITR) ભરી શકો. ટૂંકમાં કહીએ તો, ટેક્સ વિભાગનો આ પ્રયાસ તમને મદદરૂપ થવા માટે છે, જેથી ભવિષ્યમાં તમારે કોઈ મોટી કાયદાકીય ગૂંચવણ અથવા ભારે દંડનો સામનો ન કરવો પડે.
શા માટે રિફંડ અટકાવવામાં આવ્યું છે?
આયકર વિભાગના જણાવ્યા અનુસાર, જો તમારા ITR અને વિભાગ પાસે રહેલા ડેટામાં તફાવત જોવા મળે, તો આ ઍલર્ટ મોકલવામાં આવે છે. મુખ્યત્વે નીચેની 4 સ્થિતિઓમાં રિફંડ હોલ્ડ પર હોઈ શકે છે:
1.ખોટા દાનનો દાવો: બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને આપેલા ડોનેશનમાં વિસંગતતા.
2. અયોગ્ય ટેક્સ છૂટ: સેક્શન 80C, 80D અથવા HRA હેઠળ એવી છૂટ માંગવી જે ફોર્મ-16માં દર્શાવેલ ન હોય.
3. ખોટી PAN માહિતી: દાન કે કપાત સમયે અમાન્ય પાન નંબર આપવો.
4. આવક અને ખર્ચમાં તફાવત: તમારી વાસ્તવિક કમાણી AIS ડેટા કરતાં વધુ હોય અને રિટર્નમાં ઓછી બતાવી હોય.
31 ડિસેમ્બર છે છેલ્લી તારીખ
ભૂલ સુધારવા માટે 31 ડિસેમ્બર, 2025 સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે. જો તમે આ તારીખ સુધીમાં ‘રિવાઇઝ્ડ રિટર્ન’ ફાઇલ નહીં કરો, તો 1 જાન્યુઆરી, 2026થી તમારે ‘અપડેટેડ રિટર્ન’ ભરવું પડશે, જેમાં ટેક્સની સાથે વ્યાજ અને દંડ પણ ચૂકવવો પડી શકે છે.
ઓનલાઇન રિવાઇઝ્ડ ITR કેવી રીતે ફાઇલ કરવું?
જો તમારી ભૂલ થઈ છે, તો તમે નીચેના સ્ટેપ્સ દ્વારા તેને સુધારી શકો છો:
– ઇન્કમ ટેક્સ વિભાગની ઓફિશ્યલ વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ.
– PAN અને પાસવર્ડ દ્વારા લોગ-ઇન કરો.
– ‘e-File’ મેનૂમાં જઈને ‘Income Tax Return’ પસંદ કરો.
– અસેસમેન્ટ વર્ષ અને સાચું ITR ફોર્મ પસંદ કરો.
– Filing Typeમાં ‘Original/Revised Return’ સિલેક્ટ કરો.
આ પણ વાંચો: 31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ!
– ‘General Information’ ટેબમાં જઈને Section 139(5) હેઠળ ‘Revised’ વિકલ્પ પસંદ કરો.
– જૂના રિટર્નનો રસીદ નંબર(Acknowledgement Number) અને તારીખ નાખી જરૂરી ફેરફાર કરી સબમિટ કરો.
ખાસ નોંધ: જો તમને ખાતરી છે કે તમારું રિટર્ન સંપૂર્ણ સાચું છે અને તમારી પાસે તમામ રસીદો હાજર છે, તો તમારે રિવાઇઝ્ડ રિટર્ન ભરવાની જરૂર નથી. વિભાગ તમારા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ રિફંડ જાહેર કરી દેશે.











