![]()
IndiGo International Flights: આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી માંગ અને સતત વધી રહેલા સંચાલન ખર્ચ (ઓપરેટિંગ કોસ્ટ)ના કારણે દેશની અગ્રણી એરલાઇન કંપની ‘ઈન્ડિગો’એ મોટો નિર્ણય લીધો છે. ઈન્ડિગો આગામી જુલાઈ મહિનાથી ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય એવા 6 આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર પોતાની ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરવા જઈ રહી છે. ઉનાળાના વેકેશનની ચાલુ સીઝન વચ્ચે એરલાઇન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
કયા રૂટ ક્યારથી બંધ થશે?
એરલાઇનના જણાવ્યાનુસાર, દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીનના પ્રવાસી તેમજ વ્યવસાયિક શહેરોને જોડતા નીચેના રૂટ્સ 30મી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
•પહેલી જુલાઈથી બંધ થનારા રૂટ: મલેશિયાનું લેંગકાવી, થાઈલેન્ડનું ક્રાબી અને વિયેતનામનું હો ચી મિન્હ સિટી.
•ત્રીજી જુલાઈથી બંધ થનારા રૂટ: ચીનનું હોંગકોંગ અને શાંઘાઈ તેમજ કંબોડિયાનું સીમ રીપ.
ઓક્ટોબરમાં બુકિંગ ફરી શરૂ થશે
ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે પહેલી ઓક્ટોબરથી તમામ છ રૂટ માટે બુકિંગ ફરી શરૂ થશે. જો કે, જો બજારમાં માંગમાં સુધારો થશે, તો આ સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલા ફરી શરૂ થઈ શકે છે. એરલાઈને આ પગલાને તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં મર્યાદિત અને નાના ફેરફાર તરીકે વર્ણવ્યું છે. જો બજારની સ્થિતિ અને માંગમાં ઝડપથી સુધારો થશે, તો આ સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલી પણ શરૂ થઈ શકે છે.
વર્ષનો આ ત્રિમાસિક ગાળા (ક્વાર્ટર) મુસાફરી માટે સામાન્ય રીતે નબળો ગણાય છે, વત્તા વર્તમાન ખર્ચનું વાતાવરણ પણ પડકારજનક હોવાથી આ નાનો ફેરફાર કરાયો છે.
આ પણ વાંચો: 37 ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું, હવે ફકત ચીન આગળ
મુસાફરોને રિફંડ મળશે
આ નિર્ણયથી જે મુસાફરોની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, તેમને એરલાઇન દ્વારા અગાઉથી જાણ કરવામાં આવશે. પ્રવાસીઓને પૂરેપૂરું રિફંડ અથવા મુસાફરીના અન્ય વૈકલ્પિક ઓપ્શન આપવામાં આવશે. આ કામચલાઉ ઘટાડા છતાં ઈન્ડિગો દર અઠવાડિયે 1,800થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રાખશે. કંપની આગામી સમયમાં વૈશ્વિક સ્થિતિ, સંચાલન ખર્ચ અને એરસ્પેસના પ્રતિબંધો પર બારીકાઈથી નજર રાખશે.
ઈરાન યુદ્ધના કારણે માન્ચેસ્ટર ફ્લાઈટ પણ બંધ
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ઈન્ડિગોએ 31 ઓગસ્ટથી પોતાની માન્ચેસ્ટરની ફ્લાઇટ્સ પણ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ)માં લાંબા સમયથી ચાલી રહેલા પ્રતિબંધોને લીધે ફ્લાઈટના રૂટ લાંબા થયા છે. ચોક્કસ એર કોરિડોર બંધ થવાથી ફ્લાઇટના સમય અને ઈંધણના ખર્ચમાં ભારે વધારો થતાં લાંબા અંતરનો આ રૂટ વ્યાપારી રીતે નુકસાનકારક સાબિત થઈ રહ્યો હતો.










