![]()
DMK Boycotts INDIA Bloc Meeting: દેશના મુખ્ય વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A.’ને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુના શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ આગામી આઠમી જૂને નવી દિલ્હીમાં યોજાનારી ગઠબંધનની મહત્ત્વની બેઠકમાં હાજરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. DMKએ આ બહિષ્કાર પાછળ કોંગ્રેસ પ્રત્યેની પોતાની નારાજગીને મુખ્ય કારણ ગણાવ્યું છે. પક્ષનું કહેવું છે કે તેઓ એવી કોઈ પણ બેઠકમાં ભાગ નહીં લે જેમાં કોંગ્રેસ પક્ષ હાજર હોય.
તમિલનાડુ ચૂંટણીથી શરૂ થયો વિવાદ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી દરમિયાન બંને પક્ષો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. DMKના જણાવ્યાનુસાર, ચૂંટણી વખતે કોંગ્રેસે DMK સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. કોંગ્રેસે તમિલનાડુમાં TVK સાથે નવું જોડાણ કરી લીધું હતું. આ ઘટના બાદથી જ બંને પક્ષો વચ્ચે કડવાશ અને ભારે મતભેદ ચાલી રહ્યા છે.
ડીએમકેનું કહેવું છે કે, ‘કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાતથી DMK કાર્યકરોની લાગણીઓને ભારે ઠેસ પહોંચી છે. પોતાના કાર્યકરોની ભાવનાઓ અને આદરનું સક્ષમ રક્ષણ કરવા માટે પાર્ટીએ આઠમી જૂને દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.’
આ પણ વાંચો: અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિન્દરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત!
બિન-કોંગ્રેસી પક્ષોને સમર્થન ચાલુ રહેશે
કોંગ્રેસ સામે આક્રોશ હોવા છતાં, DMKએ સ્પષ્ટ કર્યું છે કે તે રાષ્ટ્રીય હિતોના મુદ્દે સમાધાન નહીં કરે. દેશના મહત્ત્વના પ્રશ્નો ઉઠાવતી તમામ બિન-કોંગ્રેસી પાર્ટીઓને તેમનું સમર્થન બહારથી મળતું રહેશે.
લોકસભામાં બેઠક વ્યવસ્થા બદલવા માંગ
આ અગાઉ આઠમી મેના રોજ પણ DMKએ આડકતરો ઈશારો આપી દીધો હતો. પાર્ટીએ લોકસભા સ્પીકર સમક્ષ માંગ કરી હતી કે, ગૃહમાં તેમના સાંસદોની બેઠક વ્યવસ્થા તાત્કાલિક બદલવામાં આવે. કોંગ્રેસ સાથેનું જોડાણ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ચૂક્યું હોવાથી DMKના સાંસદો કોંગ્રેસના સભ્યો સાથે બેસવા ઈચ્છતા નથી.










