![]()
Congress’s Reaction To The Exit Polls : પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ગઈકાલે એક્ઝિટ પોલ જાહેર થયા બાદ કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે એક્ઝિટ પોલને રેકેટ ગણાવ્યું છે અને ચૂંટણી પર પક્ષપાત કરવાનો આક્ષેપ કર્યો છે. એક્ઝિટ પોલ મુજબ, બંગાળ અને આસામમાં ભાજપની જીત થવાની અને તમિલનાડુમાં દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK), કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF), પુડુચેરીમાં ભાજપ ગઠબંધનની સરકાર બનવાની શક્યતા છે.
એક્ઝિટ પોલના તારણો રેકેટ જેવા : જયરામ રમેશ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘એક્ઝિટ પોલના તારણો રેકેટ જેવા અને ખોટા છે. હવે મત આપવાનો અધિકાર ખતરામાં આવી ગયો છે.’ ગઈકાલે એક્ઝિટ પોલના તારણો જાહેર કરાયા હતા, જેમાં આસામમાં ભાજપ, કેરળમાં કોંગ્રેસ-ડાબેરી, તમિલનાડુમાં ડીએમકેને સત્તા જ્યારે પશ્ચિમ બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
કોંગ્રેસે ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ
જયરામ રમેશે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, ‘ચૂંટણી પંચે આ ચૂંટણીઓમાં નિષ્પક્ષ કામગીરી નિભાવી નથી. જેટલો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પક્ષપાત કર્યો છે, તેવું અગાઉ ક્યારેય થયું નથી. તેઓ અગાઉના ચૂંટણી કમિશનર કરતાં વધુ પક્ષપાતી છે. અગાઉના સીઈસીના સમયથી પક્ષપાત શરૂ થયો હતો. અમે ચૂંટણી લડવાની સાથે ચૂંટણી પંચ સાથે પણ લડી રહ્યા હતા. અમે સંસદમાં રજૂ કરેલા મહાભિયોગ પ્રસ્તાવમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 9 આક્ષેપો કર્યા છે.’
‘અમે જ્ઞાનેશ કુમારને હટાવવાની ફરી નોટિસ આપીશું’
તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં ફરી મહાભિયોગ પ્રસ્તાવ લાવીશું. હવે સમય આવી ગયો છે કે, મત આપવાના અધિકારને મૌલિક અધિકાર બનાવાવનો સમય આવી ગયો છે. મત આપવો નાગરિકોનો બંધારણીય અધિકાર છે. ભારતનું બંધારણ બનાવવામાં યોગદાન આપનાર નંદલાલ બોઝના પરિવારનું નામ પણ મતદાર યાદીમાં સામેલ નથી.’
આ પણ વાંચો : બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય
‘મત આપવાનો અધિકાર ખતરામાં’
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, ‘પાત્ર ભારતીય નાગરિકોને મત આપવાા અધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રીએ જે 3Dનો ઉલ્લેખ કર્યો હતો, તેનો અર્થ શોધો (Detect), હટાવો (Delete) અને દેશમાંથી કાઢો (Deport) હતો. તમે કેટલાક બિન-ભારતીયોને શોધ્યા, કેટલાને હટાવ્યા અને કેટલાને દેશમાંથી કાઢ્યા ? હવે મત આપવાનો અધિકાર ખતરામાં છે.’
એક્ઝિટ પોલ : બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ, પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, બુધવારે પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કામાં ભારે ગરમી વચ્ચે પણ રૅકોર્ડ 92.47 ટકા મતદાન થયું હતું. હવે આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો ચાર મેના રોજ જાહેર કરવામાં આવશે, એવામાં વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ આસામમાં ભાજપ, કેરળમાં કોંગ્રેસ-ડાબેરી, તમિલનાડુમાં ડીએમકેને સત્તા જ્યારે પશ્ચિમ બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
5 રાજ્યોના એક્ઝિટ પોલ મુજબ કોને મળશે સત્તા?
એક્સિસ માય ઇન્ડિયા સહિત મોટા ભાગની એજન્સીઓનો દાવો છે કે, આસામમાં ભાજપને 88થી 100 જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 24-36 બેઠકો મળશે, આસામમાં 126 બેઠકો છે જેથી બહુમત માટે 64 બેઠકોની જરૂર રહેશે. ભાજપ અહીંયા હાલ સત્તામાં છે. પશ્ચિમ બંગાળમાં મોટા ફેરફારની શક્યતાઓ છે, બંગાળમાં આ વખતે મમતાના પક્ષ ટીએમસી ભાજપ સાથે ભારે ટક્કરની તૈયારીમાં છે, કેટલાક એક્ઝિટ પોલના તારણ મુજબ બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા છે જેમાં ટીએમસી, ભાજપ અને ડાબેરી-કોંગ્રેસનો સમાવેશ થાય છે. જોકે ચાણક્ય સ્ટ્રેટેજીના પોલમાં દાવો કરાયો છે કે 294 બેઠકો વાળા બંગાળમાં ભાજપને 150-160 બેઠકો સાથે સત્તા મળશે જ્યારે ટીએમસીને 130-140 બેઠકો મળી શકે છે. કેટલાક તારણો મુજબ તમિલનાડુમાં ડીએમકેની સત્તા યથાવત્ રહેશે જ્યારે અહીંયા અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના પક્ષ ટીવીકેના પણ ચોંકાવનારા પરિણામ આવી શકે છે અને તે વિપક્ષમાં બેસે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો : જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર!










