![]()
– ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 781માંથી 767 મતો સાથે 98.2 ટકા મતદાન
– સીપી રાધાકૃષ્ણનને 452, સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા : વિપક્ષના 15 સાંસદોના ક્રોસ વોટિંગની શક્યતા
નવી દિલ્હી : એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન મંગળવારે અપેક્ષા મુજબ જ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમને ૪૫૨ મત મળ્યા હતા જ્યારે વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યા હતા. આમ રાધાકૃષ્ણનનો ૧૫૨ મતોથી વિજય થયો હતો. વિપક્ષે એક થઈને સુદર્શન રેડ્ડીને મત આપ્યાના કોંગ્રેસના દાવા વચ્ચે વિપક્ષના ૧૫ સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે.
રાજ્યસભાના મહામંત્રી અને રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ મંગળવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કુલ ૭૮૧ સાંસદોમાંથી ૭૬૭ સાંસદોએ મતાધિકારનો ઉપયોગ કરતાં ૯૮.૨ ટકા મતદાન થયું હતું. જોકે, ૭૬૭માંથી ૭૫૨ મત માન્ય અને ૧૫ વોટ અમાન્ય થઈ ગયા હતા, જેથી જીતવા માટે જરૂરી બહુમતીનો આંક ૩૯૨થી ઘટીને ૩૭૭ થઈ ગયો હતો. એનડીએના ઉમેદવાર અને હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આરએસએસની પૃષ્ઠભૂમિમાંથી આવતા તમિલનાડુ ભાજપના વરિષ્ઠ નેતા છે. એનડીએની સ્પષ્ટ બહુમતીના પગલે તેમનો વિજય નિશ્ચિત મનાતો હતો, પરંતુ તેમણે જે અંતરથી વિજય મેળવ્યો તેને વિપક્ષ માટે પીછેહઠ માનવામાં આવે છે.
એનડીએને પોતાના સાંસદોની સાથે કેટલાક ક્રોસ વોટિંગનો પણ લાભ મળ્યો. એનડીએની કુલ સંખ્યા ૪૨૭ હતી, જેમાં વાયએસઆર કોંગ્રેસના ૧૧ સાંસદોનો ઉમેરો થતાં ૪૩૮ થઈ હતી. આ સિવાય સીપી રાધાકૃષ્ણનને ક્રોસ વોટિંગ મારફત વધારાના ૧૪ વોટ સાથે કુલ ૪૫૨ મત મળ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ જાહેર થાય તેના કલાકો પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે દાવો કર્યો હતો કે, વિપક્ષે એક થઈને એનડીએના વિરોધમાં મતદાન કર્યું હતું. અમારા બધા જ ૩૧૫ સાંસદોએ મતદાન કર્યું હતું. જોકે, મતદાન જાહેર થયું ત્યારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યાનું જાહેર થતા વિપક્ષના કેટલાક સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે.
મતદાન જાહેર થયા પછી ભાજપ નેતાઓએ તુરંત દાવો કર્યો હતો કે તેમના ઉમેદવાર રાધાકૃષ્ણનની તરફેણમાં વિપક્ષના ૧૫ સાંસદોએ મતદાન કર્યું છે. એનડીએના આ દાવાના પગલે વિપક્ષના કેટલાક સાંસદોએ ઈરાદા પૂર્વક અયોગ્ય મતદાન કર્યું હોવાનું મનાય છે. કારણ કે ૧૫ મતો ગેરલાયક ઠર્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં મતદાન કર્યું હતું. સીપી રાધાકૃષ્ણનને વિજયી જાહેર કરાયા પછી પીએમ મોદીએ એક્સ પર લખ્યું રાધાકૃષ્ણનનું જીવન હંમેશા સમાજને અર્પણ રહ્યું છે. તેમણે ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે. થિરુ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ અસાધારણ ઉપરાષ્ટ્રપતિ બનશે, જેઓ બંધારણીય મૂલ્યો અને સંસદીય કાર્યપ્રણાલીને મજબૂત કરશે.










