![]()
મુંબઈ : વોલેટિલિટીમાં વધારો અને વધુ નિયમનકારી સખતાઈ આવવાની શકયતા ઓછી જણાતા દેશના શેરબજારોમાં ગયા મહિને ડેરિવેટિવ્ઝમાં સરેરાશ દૈનિક ટર્નઓવર વધી રૂપિયા ૫૦૬ ટ્રિલિયન સાથે ૧૨ મહિનાની ઊંચી સપાટીએ રહ્યું હતું. બીજી બાજુ કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૧.૦૬ ટ્રિલિયન રહ્યું હતું.
સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા નોન-બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ પર સાપ્તાહિક કોન્ટ્રેકટસ અટકાવી દેવાતા અને વિકલી એકસપાઈરીસ પર બે દિવસની મર્યાદા લાગુ કરાયા બાદ વર્તમાન વર્ષના પ્રારંંભમાં ડેરિવેટિવ્ઝ પ્રવૃત્તિ લગભગ ઘટી ગઈ હતી.
સપ્ટેમ્બર ૨૦૨૪માં ડેરિવેટિવ્ઝસમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૫૩૭ ટ્રિલિયન સાથે રેકોર્ડ સપાટીએ રહ્યું હતું.
વિકલી એકસપાઈરીસ સદંતર જ રદ કરાશે તેવી ચિંતાએ ડેરિવેટિવ્ઝ વોલ્યુમમાં ઘટાડો જોવાયો હતો પરંતુ આવી કોઈ હિલચાલ નહીં હોવાની સેબીની તાજેતરમાં સ્પષ્ટતા બાદ ડેરિવેટિવ્ઝમાં વોલ્યુમમાં વધારો થયો હતો.
કેશ વેપારમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૧.૦૬ ટ્રિલિયન સાથે સપ્ટેમ્બરની સમાન રહ્યું હોવાનું સ્ટોક એકસચેન્જિસના આંકડા જણાવે છે. જૂન ૨૦૨૪માં જોવા મળેલી રૂપિયા ૧.૬૫ ટ્રિલિયનના ટર્નઓવરની સરખામણીએ કેશનું સરેરાશ દૈનિક ટર્નઓવર હજુપણ ૩૫ ટકા જેટલુ નીચું જોવા મળે છે.










