![]()
ગાંધીનગર: ગુજરાત ખેડૂત હિત રક્ષક મંડળના માણાસા વિભાગ દ્વારા કૃષિમંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે, કે માણસા તાલુકા વિસ્તારમાં કમોસમી વરસાદ થવાના કારણે ખેતીમાં વ્યાપક નુકશાન થયું છે. પરિણામે પાકમાં નુકશાનીનો સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તે અનિવાર્ય બન્યું છે. વિશેષમાં જણાવવામાં આવ્યું છે, કે માણસા પંથકમાં મગફળી, કપાસ અને અડદ તથા મગના વાવેતરમાં કોમસમી વરસાદ પડવાથી થયેલા નુકશાનનો તાગ મેળવવા માટે યોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવે અને ન્યાયિક સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમ આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યાં છે.
નોંધવું રહેશે, કે કમોસમી વરસાદના કહેરમાંથી જિલ્લાના ગાંધીનગર, દહેગામ અને કલોલ તાલુકાનો વિસ્તાર પણ બાકી રહ્યો નથી. ડાંગરના પાકને પણ નુકશાન થયાનું ખેડૂતોએે જણાવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ખરીફ મોસમ દરમિયાન કુલ વાવેતર ૧,૨૧,૨૮૨ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યુ હતું.
પરંતુ પાછોતરા વરસાદી માહોલના કારણે ખેડૂતોએ કરેલી કાળી મજુરી અને રોકેલા નાણા ઉપર પાણી ફરી વળવા જેવી સ્થિતિનું સર્જન થયું છે. જિલ્લામાં ડાંગરનું વાવેતર ૧૨,૧૭૭ હેક્ટરમાં, મગફળીનું ૧૫,૦૭૬ હેક્ટરમાં, દિવેલાનું ૨૧,૦૧૬ હેક્ટરમાં અને કપાસનું ૧૭,૪૨૨ હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યુ હતું.










