![]()
– સુરતમાં સાડીનો વ્યવસાય કરતા શખ્સે 15 ટકા શરાફી વ્યાજે નાણાં લીધા બાદ પરત ન કર્યા
– સુરતના અન્ય એક શખ્સને પણ ચેક પરત કેસમાં એક વર્ષની સજાનો હુકમ
ભાવનગર : સુરતમાં સાડીનો વ્યવસાય કરતા શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ સુરતના અન્ય એક શખ્સને પણ કોર્ટે ચેક પરત કેસમાં એક વર્ષ સજાનો હુકમ કર્યો હતો.
સુરતના કામરેજમાં નંદસાડ, ગોકુલધામ રેસીડન્સી, ઘર નં.૩૪૦માં રહેતો અને સુરતમાં સાડીનો વ્યવસાય કરતો સંજય પરશોત્તમભાઈ વાહોલિયા નામના શખ્સે વર્ષ ૨૦૨૧માં પાલિતાણા ખાતે આપા ફાયનાન્સ ચલાવતા અર્જુનભાઈ માયાભાઈ ભમ્મર (રહે, દેદરડા, તા.પાલિતાણા) પાસેથી ૧૫ ટકાના શરાફી વ્યાજે કટકે-કટકે કુલ રૂા.૭,૨૦,૦૦૦ હાથઉછીના લીધા બાદ વ્યાજ સાથે રૂા.૭,૭૪,૮૫૦ દેવાના થતાં હોય, શખ્સે તા.૧૦-૫-૨૩ના રોજ રૂા.૪,૯૪,૦૦૦ અને તા.૧૬-૫-૨૩ના રોજ રૂા.૨,૫૦,૦૦૦નો ચેક આપ્યા હતો. આ બન્ને ચેક બાઉન્સ થતાં અર્જુનભાઈ ભમ્મરે તેમના વકીલ મારફત પાલિતાણાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં સંજય વાહોલિયા સામે એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ અલગ-અલગ બે ફરિયાદ કરી હતી. જે બન્ને કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક-એક વર્ષ કેદની સજા તેમજ ચેકની રકમ મુજબ રૂા.૨,૨૫,૦૦૦ તથા રૂા.૪,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
અન્ય એક કેસમાં પાલિતાણાના બહારપરા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નં.૫૦માં રહેતા અને ખાનગી ટયુશન ક્લાસ ચલાવતા ભરતભાઈ બાબુભાઈ માંડલિયા પાસેથી મિલન હિંમતભાઈ ધામેલિયા (રહે, ૯૦, અમરદીપ સોસાયટી, વંદના સોસાયટી સામે, શ્યામધામ ચોક, સુરત) નામના શખ્સે વર્ષ ૨૦૨૨માં રૂા.૧,૨૫,૦૦૦ હાથઉછીના લીધા બાદ તે રકમનો ગત તા.૮-૪-૨૦૨૩ના રોજ આપેલો ચેક પરત બેન્કમાંથી પરત ફરતા ભરતભાઈએ તેમના વકીલ મારફત પાલિતાણાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ કરી હતી. જે કેસમાં કોર્ટે મિલન ધામેલિયાને એક વર્ષ સાદી કેદની સજા અને રૂા.૧,૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.










