![]()
Gujarat MGNREGA Scam: ગુજરાતમાં મનરેગા કૌભાંડ ભાજપના મળતિયાઓની કમાણીની યોજના બની રહી છે. આ કૌંભાડમાં ખૂદ મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી બાદ સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ છે. એક રિપોર્ટ અનુસાર, મનરેગામાં કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોને કરાડોની લ્હાણી કરી છે, જ્યારે ગુજરાતની ગ્રાન્ટ પર કાપ મૂક્યો છે. વર્ષ 23-24ની સરખામણીએ વર્ષ 2024-25માં 262 કરોડ રૂપિયા ઓછા ફાળવ્યાં છે.
આ રાજ્યોને કરોડોની લ્હાણી
મનરેગા યોજના થકી થતાં વિકાસના કામો માત્રને માત્ર કાગળ પર રહ્યાં છે. ભાજપના મળતિયાઓએ ભરપૂર લાભ મેળવ્યો છે. ખરેખર તો આ યોજનાનો મૂળભૂત હેતુ એ છે કે, ગરીબ આદિવાસી મજૂરોને 100 દિવસ કામ મળે, પરંતુ એવું થયુ નથી. મજૂરીને બદલે મટીરીયલ પાછળ ત્રણ ગણો ખર્ચ કરાયો છે, જેથી ભાજપના નેતાઓને ફાયદો થાય. ગુજરાતમાં મનરેગામાં ઘણી ગેરરીતિ થઈ હોવાનુ સામે આવ્યું છે ત્યારે હજુ મનરેગાના મજૂરોને 4.37 કરોડ રૂપિયા વેતન ચૂકવાયુ નથી.
ગુજરાતમાં 98.4 લાખ નોધાયેલાં મજૂરો છે. કેન્દ્રના રિપોર્ટમાં જ એવો ઘટસ્ફોટ થયો છે કે, ગુજરાતને મનરેગા યોજના માટે વર્ષ 2023-24માં 1802 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી, પરંતુ વર્ષ 2024-25માં 1540 કરોડ રૂપિયા જ ફાળવાયાં હતાં. ટૂંકમાં મનરેગાની ગ્રાન્ટમાં કાપ મૂકાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ
બીજી તરફ મહારાષ્ટ્રને 2023-24માં 5891 કરોડ રૂપિયા ફાળવાયાં પણ વર્ષ 2024-25માં આ રકમ વધારી 6252 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવાઇ હતી. કર્ણાટકને 2023-24માં 5431 કરોડ રૂપિયા અપાયાં હતાં, જ્યારે વર્ષ 2024-25માં 5709 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતાં. બિહારને 2023-24માં 6200 કરોડ રૂપિયા અપાયા, પરંતુ વર્ષ 2024-25માં 6915 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. આંધ્ર પ્રદેશને 2023-24માં 7353 કરોડ રૂપિયા અપાયા હતાં, પરંતુ વર્ષ 2024-25માં આ રકમ વધારીને 7707 કરોડ રૂપિયા કરી દેવાઈ હતી. આમ ગુજરાતને મનરેગા યોજનામાં ગ્રાન્ટ કાપ મૂકાયો છે, જ્યારે અન્ય રાજ્યોને મળતી ગ્રાન્ટમાં વધારો કરાયો છે.










