![]()
Ahmedabad News: ગુજરાતના સેંકડો પરિવારો માટે આ મહિનો આશાનું એક નવું કિરણ લઈને આવ્યો છે. વર્ષોથી જે ફોન કોલની પરિવારો રાહ જોઈ રહ્યા હતા, તે આખરે આવી ગયો છે. કોઈની ગુમ થયેલી દીકરી પાછી આવી છે, તો કોઈ માતાને તેનો ખોવાયેલો લાલ પાછો મળ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા એક ખાસ મેગા સર્ચ ડ્રાઇવ ઓપરેશન મિલાપઅંતર્ગત માત્ર 14 દિવસની અંદર રાજ્યભરમાંથી 701 ગુમ થયેલા લોકોને શોધી કાઢીને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. વર્ષ 2007થી પેન્ડિંગ રહેલા ગુમ થયેલા હજારો લોકોની ફાઈલો ફરી ખોલવામાં આવી છે.
પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ
ગુજરાત પોલીસે ગુમ થયેલા લોકોને શોધવા માટે આ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. પોલીસને આ માટે તમામ જરૂરી સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. આ ઝુંબેશના અંતે રાજ્યભરના પોલીસ સ્ટેશનોએ 7 મે થી 21 મે વચ્ચે કુલ 701 લોકોને શોધી કાઢ્યા અને તેમને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. તંત્રના આંકડા મુજબ, વર્ષ 2007થી અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 24,767 થી વધુ લોકો ગુમ થયાની નોંધ થઈ ચુકી છે, જેને શોધવા પોલીસ હવે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સઘન ઉપયોગ કરી રહી છે.
માત્ર ગુમ થયેલા લોકોને શોધવા નહીં, માનવ તસ્કરી નેટવર્ક પર પણ નજર
સીઆઈડી ક્રાઈમ અને રેલવેના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના (ADGP) અનુસાર ડેટા અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે વર્ષો જૂના કેસ ઉકેલાઈ રહ્યા છે. આ ઓપરેશન માત્ર લોકોને શોધવા પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ ચાલતા હ્યુમન ટ્રાફિકિંગ, બાળ તસ્કરી અને નવજાત બાળકોને વેચતી ગેંગ અને સિન્ડિકેટનો પર્દાફાશ કરવાનો પણ પોલીસનો હેતુ છે.
ચોંકાવનારો કિસ્સો: 10 વર્ષ પહેલાં ગુમ થયેલી પત્ની સોશિયલ મીડિયા પરથી મળી!
આ ઓપરેશન દરમિયાન કેટલાક અત્યંત ચોંકાવનારા કિસ્સા પણ સામે આવ્યા છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની એક 23 વર્ષીય પરિણીત મહિલા વર્ષ 2016માં પોતાના 5 વર્ષના માસૂમ પુત્ર સાથે રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. તેના પતિએ પોલીસને જણાવ્યું હતું કે, તે પીયેર જવાનું કહીને નીકળી હતી પરંતુ ક્યારેય પાછી ફરી નહોતી. આ કેસ ફરી ખોલવામાં આવ્યો, ત્યારે તપાસ દરમિયાન પતિએ જણાવ્યું કે, તેણે તાજેતરમાં જ તેની પત્ની જેવી દેખાતી મહિલાને સોશિયલ મીડિયા પર જોઈ છે.
પત્ની રાજકોટમાં બીજા લગ્ન પણ કરી લીધા
પોલીસે તાત્કાલિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સ્કેન કર્યા અને જે વિગતો સામે આવી તેનાથી બધા ચોંકી ગયા. આ મહિલા વર્ષ 2016માં કૌટુંબિક ઝઘડાના કારણે ઘર છોડીને રાજકોટ આવી ગઈ હતી, જ્યાં તેણે બીજા લગ્ન કરી લીધા હતા અને હાલમાં તે ત્યાં ગરબા ક્લાસ ચલાવે છે. તેનો જે પુત્ર 5 વર્ષની ઉંમરે ગુમ થયો હતો તે હવે 15 વર્ષનો કિશોર થઈ ગયો છે.
લોકો ગુમ થવા પાછળ કૌટુંબિક વિવાદો, લગ્નજીવનના પ્રશ્નો, પરીક્ષાનું ટેન્શન, પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા અને આર્થિક તંગી જેવા અનેક જટિલ માનવીય પાસાઓ જવાબદાર હોય છે.










