![]()
– હિન્દુ સંગઠનની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું
– ‘અહીં મદ્રેસા, દરગાહ, મસ્જિદ હોવાથી વિસ્તારમાં કોઈએ ગરબા રમવા કે વગાડવા નહીં’ લખાણવાળું બોર્ડ અંતે હટાવાયું
નડિયાદ : ખેડા જિલ્લાના માતર ખાતે લઘુમતી સંસ્થા દ્વારા લગાવવામાં આવેલા બોર્ડને કારણે વિવાદ સર્જાયો છે. ‘અહીં મદ્રેસા, દરગાહ, મસ્જિદ હોવાને કારણે આ વિસ્તારમાં કોઈએ ગરબા રમવા કે વગાડવા નહીં.’ તેવું બોર્ડ લઘુમતી વિસ્તારમાં લગાવાતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
ખેડા જિલ્લામાં તાજેતરમાં ઊંઢેલામાં ગરબા પર પથ્થરમારો, ઠાસરામાં શિવજી કી સવારી પર પથ્થરમારો, રતનપુરમાં વટસાવિત્રીના વ્રત દરમિયાન સૂતરની આંટીઓ કાપવાની ઘટના, અને વસોમાં ગણેશ વિસર્જન સમયે વાતાવરણ ડહોળવાના પ્રયાસો જેવી સંખ્યાબંધ ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે હવે માતરના લઘુમતી વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ મુકતા બોર્ડ લગાવાની ઘટનાએ લોકોમાં ભય અને રોષની લાગણી જન્માવી છે. આ વિવાદિત બોર્ડને કારણે સ્થાનિક હિન્દુ સંગઠનોએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બોર્ડ પરથી વિવાદિત લખાણ હટાવી દેવાની સૂચના આપી હતી. પોલીસની સૂચનાને પગલે બોર્ડ પરથી લખાણ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં અવારનવાર સાંપ્રદાયિક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ ચિંતાનો વિષય છે. આ ઘટનાઓમાં અસામાજિક તત્વો દ્વારા સતત પ્રયાસો થતા રહે છે. ખેડા જિલ્લામાં સાંપ્રદાયિક વાતાવરણ ડહોળતા અસામાજિક તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે.
નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ, ઉપપ્રમુખ સામે ગુનોઃ ડીવાયએસપી
માતરના વિવાદિત બોર્ડ અંગે ડીવાયએસપી વિમલકુમાર બાજપાઈએ જણાવ્યું છે કે, માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નાની ભાગોળમાં ‘નાની ભાગોળ મુસ્લિમ પંચ’ દ્વારા ગરબા કે ડીજે ન વગાડવા માટેના લખાણવાળું દીવાલ પર બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ લખાણનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ધામક લાગણી દુભાતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વિવાદિત લખાણ હટાવી દેવડાવ્યું છે. નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અયુબ ખાન પઠાણ અને ઉપપ્રમુખ યુસુફ મિયા ખોખર વિરુદ્ધ કલમ ૨૯૯ અને ૩૫૪ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોર્ડ ધ્યાને આવતા ફરિયાદ કરી : બજરંગ દળના સંયોજક
આ અંગે બજરંગ દળના સંયોજક ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વોટ્સએપના માધ્યમથી માતરનું આ બોર્ડ ધ્યાનમાં આવ્યું હતું. જેથી અન્ય હિન્દુ સંગઠનો સાથે મળી અમે માતરમાં અરજી આપી હતી. પોલીસે પ્રાથમિક બોર્ડનું લખાણ દૂર કર્યુ છે. પરંતુ અમારી લાગણી દુભાઈ હોવાથી મામલે જણાવ્યા બાદ ફરિયાદ નોંધાઈ છે.
માત્ર મુસ્લિમ સમાજ માટે જ બોર્ડ હતું : મુસ્લિમ સમાજના અગ્રણી
આ અંગે મુસ્લિમ સમાજના અગ્રણી બિસ્મિલ્લાખાન પઠાણે જણાવ્યુ હતું કે, આ બોર્ડ ૪-૫ વર્ષ જુનું છે. આખો વિસ્તાર મુસ્લિમ વસ્તીનો છે. ખાસ તો આ બોર્ડ અમારા મુસ્લિમ સમાજ માટે જ લગાવાયું હતું. આસપાસમાં કબ્રસ્તાન હોવાથી અને ૨ હજાર જેટલી કબરો છે. ઉપરાંત ધામક સ્થળ છે. જેથી અત્રે મુસ્લિમ સમાજ દ્વારા વરઘોડા અને અન્ય ઉત્સવો ઉજવવા ઉપરાંત લગ્નોમાં ગરબા-ડીજે ના વગાડવામાં આવે તે માટે બોર્ડ લગાવાયું હતું. આ મુદ્દે ખોટા પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે.










