![]()
– અઠવાડિયાથી શેઢી નદીના પાણીનો ભરાવો
– રસ્તા અને ઘરોમાં પાણી ઘૂસ્યા, ઘરવખરી- ખાદ્ય ચીજો પલળી જતા ભૂખ્યા- તરસ્યા રહેવા મજબૂર
ઠાસરા : ગળતેશ્વરના વાડદ ગામમાં અઠવાડિયાથી શેઢી નદીના પૂરના પાણી ફરી વળતા ગામથી થોડે દૂર ઈન્દિરાનગરીના ૫૦૦ લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ઘરોમાં પાણી ફરી વળતા ભૂખ્યા- તરસ્યા રહેવાનો વખત આવ્યો છે. ત્યારે આજે ગ્રામજનોએ તમામને ગામમાં સ્થળાંતરિત કરવાનું આયોજન કર્યું હતું.
ગળતેશ્વર તાલુકાના સૌથી મોટા વાડદ ગામમાં અઠવાડિયાથી શેઢી નદીના પૂરના પાણી ફરી વળ્યા છે. રોજ પાણીમાં વધારો થવા સાથે વરસાદ પણ સતત ચાલુ છે. ત્યારે વાડદથી અંગાડી તરફ જાહેર રસ્તા ઉપર આશરે ૫૦૦ની વસ્તી ધરાવતી ઈન્દિરાનગરી પૂરના પાણીના કારણે સંપર્ક વિહોણી બની છે. અઠવાડિયાથી શેઢી નદીના પૂરનું પાણી રસ્તા અને ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી અને ખાદ્ય ચીજો પલળી ગઈ છે. ઘરોમાં જમવાનું નહીં બનાવી શકતા ભૂખ્યા- તરસ્યા લોકો રહેવા મજબૂર બન્યા છે. બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે. વાડદ ગામથી ઈન્દિરાનગર દૂર હોવાથી પાણીમાંથી અવર- જવર પણ શક્ત નથી.
ગત વર્ષે પૂરમાં મગર જોવા મળ્યો હોવાથી ચાલુ વર્ષે ભયના લીધે પાણીમાં લોકો ઉતરતા પણ નથી.
તા. ૭મીને રવિવારે શેઢી નદીનો પ્રવાહ વધતા વાડદથી તરઘૈયા, સોનૈયા, વસો તરફ જતો રસ્તો બંધ થઈ જશે. ડભાલીથી વાડદનો રસ્તો પણ સદંતર બંધ છે. વાડદની સરસ્વતી હાઈસ્કૂલમાં પણ પાણી ફરી વળ્યાં છે. ત્યારે આજે વાડદના ગ્રામજનોએ સંપર્ક વિહોણી ઈન્દિરાનગરીના લોકોને પ્રાથમિક શાળા, સુન્ની મુસ્લિમ જમાત ખાનામાં સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરી હતી.
ત્યારે વહીવટી તંત્ર દ્વારા સહાય મળે તેવી સંપર્ક વિહોણા ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.










