અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટેનું વ્યાપક અભિયાન “સુરક્ષિત ભારત મિશન”નો ગુજરાતમાં થશે પ્રારંભ
ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને સમયોચિત પહેલરૂપે કોન્સેપટ ઓફ લિવિંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “સુરક્ષિત ભારત મિશન” ની શરૂઆત કરવામાં આવનાર છે. આ મિશન સંસ્થાના સ્થાપક મોનાલી સુથારના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શરૂ થશે.
દેશમાં બાળકો સામે થતા ગુનાઓના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના અહેવાલો અનુસાર દર વર્ષે લાખો કેસ નોંધાય છે, જ્યારે વિવિધ અભ્યાસો દર્શાવે છે કે 50%થી વધુ બાળકો જીવનના કોઈને કોઈ તબક્કે શોષણનો ભોગ બને છે. વધુ ચિંતાજનક વાત એ છે કે મોટા ભાગના કેસોમાં આરોપી વ્યક્તિ બાળકોને ઓળખીતા હોય છે, જેના કારણે બાળકો ઘણીવાર ડર કે શરમના કારણે મૌન રહે છે. આવી પરિસ્થિતિમાં જાગૃતિ, યોગ્ય શિક્ષણ અને સમયસર માર્ગદર્શન જ સૌથી અસરકારક રક્ષણ બની શકે છે.
આ “સુરક્ષિત ભારત મિશન” ગુજરાતના તમામ 263 તાલુકાઓ સુધી પહોંચવાનો દૃઢ સંકલ્પ ધરાવે છે. આ અભિયાનની શરૂઆત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાથી કરવામાં આવશે અને આગળ વડોદરા, સુરત સહિતના જિલ્લાઓના તાલુકા અને ગામડાં સુધી તેને વિસ્તૃત કરવામાં આવશે.
મિશન અંતર્ગત શાળાઓમાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને સ્ટાફને POCSO એક્ટ અંગે વિશેષ અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ બાળકો સામેના શોષણના સંકેતો ઓળખી શકે અને યોગ્ય કાનૂની તથા માનસિક સહાય પૂરી પાડી શકે. ઉપરાંત ગામડાં અને શહેરોના સ્તરે બાળકો, માતા-પિતા અને શિક્ષકો માટે જાગૃતિ સત્રો, વર્કશોપ અને ઇન્ટરએક્ટિવ કાર્યક્રમો યોજાશે.










