GSRTC to Lease 1200 New Buses: એસટીની નવી એસી અને વોલ્વો બસમાં બેસતા જ મુસાફરોને થાય કે ભાડે ગયેલી રાજ્યની પરિવહન સેવા હવે સુધરી રહી છે. પરંતુ જનતાની જાણ બહાર અધિકારીઓની કેબિનોમાં કંઈક બીજું જ રાંધાઈ રહ્યું છે. હાલ રાજ્યના માર્ગો પર દોડતી એસટીની પ્રીમિયમ ગણાતી 250 જેટલી બસ નિગમે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ પાસેથી ભાડે લીધેલી છે. જેના માટે દર મહિને 13 કરોડ જેટલું તોતિંગ ભાડું ચૂકવાય છે.
એસટી નિગમ હવે 1200 નવી બસો ભાડે લેશે
એસટી કર્મચારી સંગઠનના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ 1,200 જેટલી નવી બસ ખાનગી ટ્રાવેલ્સ પાસેથી ભાડે લેવા નિર્ણય કરાયો છે. લોકોનું આરોગ્ય અને શિક્ષણ ખાનગી કંપનીઓના હાથમાં સોંપી દીધા બાદ હવે સરકાર PPP(પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલના રૂપકડા નામે સિફતતાપૂર્વક જાહેર પરિવહનનું પણ ખાનગીકરણ કરી રહી છે. અત્યાર સુધી બસનું ઉત્પાદન ખાનગી કંપનીઓને સોંપાયું હતું. પરંતુ હવે તો બસ ખરીદવાની જગ્યાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ ખાનગી બસ ભાડે લઈ ચલાવવા લાગ્યું છે!
250 પ્રીમિયમ બસો માટે કિલોમીટર દીઠ મસમોટું ભાડું
હાલ એસી અને વોલ્વો જેવી 250 પ્રીમિયમ બસ ભાડે ચાલે છે. જેના માટે પ્રતિ કિમી કંપનીને રૂ. 26થી 63 સુધી ચૂકવાય છે. ત્યારે એસટી કર્મચારી સંગઠનના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત શનિવારે નિગમના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં વધુ 1,000થી 1,200 જેટલી બસ ભાડે ચલાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં 500 એસી, 500 મિનિ બસ, 100 એસી લક્ઝરી અને 100 એસી સ્લીપર બસનો સમાવેશ થાય છે. ટૂંકમાં નિગમ હવે પોતાની જૂની બસ કાઢી નવી લેવાના બદલે વર્ષો સુધી ખાનગી બસના તોતિંગ ભાડા ચૂકવી જાતે દેવાનો ડુંગર ઊભો કરશે.
અઢી વર્ષના ભાડામાં આવી શકે 250 નવી બસો
છેલ્લાં બે વર્ષથી એસટીમાં ઘણી નવી એસી અને વોલ્વો બસ સામેલ કરાઈ છે. પરંતુ તેની પાછળનું ગણિત કંઈક વિચિત્ર છે. એક નવી એસી સીટર, સ્લીપર અને વોલ્વો જેવી પ્રીમિયમ બસની કિંમત આશરે 1થી 1.5 કરોડ જેટલી હોય છે. એટલે હાલ ભાડે લીધેલી 250 બસ બજારમાંથી નવી ખરીદવા માટે 350 કરોડનો ખર્ચ થાય તેમ છે. તેની સામે હાલ એસટી તંત્ર આ 250 બસ ભાડે ચલાવી દર મહિને ખાનગી કંપનીઓને 13 કરોડ લેખે વર્ષના 156 કરોડ રૂપિયા ચૂકવી રહ્યું છે. મતલબ કે અઢી વર્ષમાં જેટલું ભાડું ચૂકવાશે તેટલામાં તો 250 નવી બસ ખરીદી શકાય છે. જે 10થી 15 વર્ષ ચાલી શકે છે. પરંતુ સુચારુ આયોજનના બદલે હવે દસ વર્ષ સુધી ભાડાપેટે 1,500થી 2,000 કરોડ ખાનગી કંપનીઓની ઝોળીમાં પધરાવી દેવાશે!

આ પણ વાંચો: ‘અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે…’ મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી
4000 કર્મચારીઓને આઉટસોર્સિંગથી લેવાની હિલચાલ
માત્ર બસ જ નહીં, હવે ડ્રાઈવર અને કંડક્ટરની પણ સરકારી ધારાધોરણથી ભરતી કરવાના બદલે નિગમ દ્વારા બે હજાર જેટલા ડ્રાઈવર અને બે હજાર કંડક્ટર ખાનગી કંપનીના ભરવાની વાતો વહેતી થઈ છે. એસટી ભારતીય મઝદૂર સંઘના અગ્રણી વલ્લભભાઈ વાઘાણીએ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું છે કે, એસટીના અધિકારીઓ અને નેતાઓ દ્વારા છાના ખૂણે કરાઈ રહેલા આ ખાનગીકરણના વિરોધમાં ત્રણેય કર્મચારી સંગઠનો સાથે મળીને આંદોલન કરશે. કર્મચારીઓના હિતોને નુકસાન થાય તેવો કોઈ નિર્ણય માન્ય રાખવામાં આવશે નહીં.











