Gujarat AAP Workers Join BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ગુજરાત AAPને ડબલ ઝટકો લાગ્યો છે. જેમાં વડોદરામાં 40 AAPના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો છે, જ્યારે નર્મદાના દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડા તાલુકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે.
વડોદરામાં 40 AAPના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો
વડોદરામાં ભાજપના કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં AAPના પ્રવક્તા શીતલ ઉપાધ્યાય અને નેતા વિઠ્ઠલ આયર સહિત 40 જેટલા સક્રિય કાર્યકરોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. પક્ષમાં આંતરિક અસંતોષ સહિતના પ્રશ્નોને લઈને આ કાર્યકરોએ પક્ષપલટો કર્યો હોવાનું જણાય છે.

દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીનામું
નર્મદાના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના જ ગઢ દેડિયાપાડામાં મોટો ફટકો પડ્યો છે. જેમાં ચૂંટણી દરમિયાન જ AAP પક્ષના દેડિયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ રાજીનામું આપ્યું છે. પક્ષમાં થતી અવગણનાને કારણે આપ્યું રાજીનામું હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજેન્દ્ર વસાવાએ કહ્યું કે, ‘પ્રમુખ તરીકે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે બાદબાકી થતી હોવાથી હું આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત બનું છું અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.’
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી વચ્ચે ભાજપ સામે ‘સંકટ’ : ટિકિટ ન મળતાં કાર્યકરો અને વિકાસ મુદ્દે મતદારો નારાજ
તાલુકા પ્રમુખે વધુમાં જણાવ્યું કે, ‘દેડિયાપાડા તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી મે પૂર્ણ નિષ્ઠા અને ઇમાનદારીથી નિભાવી. જેમાં તન, મન અને ધનથી મને આપવામાં આવેલી તમામ જવાબદારીઓ નિભાવી છે. વર્ષ 2012થી દેડિયાપાડા વિસ્તારમાં પાર્ટીનો વ્યાપ વધારવામાં મારી અને મારી ટીમની અહમ ભૂમિકા રહી છે. બૂથથી લઈને વિધાનસભા સ્તર સુધી પાર્ટીને મજબૂત કરવામાં અમારું યોગદાન છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા હોય કે પછી ચૂંટણીલક્ષી કોઈપણ નિર્ણય હોય તેની ન તો મને જાણ કરવામાં આવતી કે ન કોઈ જગ્યાએ મારું મંતવ્ય લેવામાં આવ્યું. મને કોઈ પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને ઉમેદવાર નક્કી કરતી વખતે પણ મારી બાદબાકી કરવામાં આવી હતી. સતત મને ટાર્ગેટ કરીને મારી અવગણના કરવામાં આવી છે.’










